વોશિંગ્ટનઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. અમેરિકામાં સાત લાખથી વધારે લોકો તેનાથી સંક્રમિત થઈ ચુક્યા છે અને 42 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે.


આ દરમિયાન કોરોના વાયરસ મહામારી સામે ઝઝૂમી રહેલા અમેરિકાએ ઈમિગ્રેશન રોકવાનો ફેંસલો લીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે જાહેરાત કરતાં જણાવ્યું કે, અમેરિકામાં હવે આગામી આદેશ સુધી કોઈ પણ બહારના વ્યક્તિને વસવાટ કરવાની મંજૂરી નહીં આપવામાં આવે. અર્થતંત્ર પર ઉભા થયેલા સંકટને જોઈ અમેરિકન નાગિકોની નોકરીઓ બચાવવા આ ફેંસલો લેવામાં આવ્યો છે.

કોરોના વાયરસને લઈ અમેરિકામાં મોટી સંખ્યામાં લોકોની છટણી કરવામાં આવી રહી છે. ગત સપ્તાહે 2 કરોડથી વધારે અમેરિકન નાગરિકોએ બેરોજગારીનો લાભ લેવા માટે અરજી કરી હતી.

આગામી આદેશ સુધી કોઈ પણ વિદેશી નાગરિક અમેરિકાનો નાગરિક નહીં બની શકે કે એપ્લાઇ પણ નહીં કરી શકે. વિશ્વભરમાંથી લોકો અમેરિકામાં નોકરી અને બિઝનેસ માટે આવે છે. જેઓ થોડા સમય બાદ ત્યાંની સિટીઝનશિપ માટે એપ્લાઈ કરે છે.