મુંબઇઃ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઇને શિવસેના અને ભારતીય જનતા પાર્ટીમાં ખેંચતાણ વધી ગઇ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે રાજ્યમાં સરકાર બનાવવા અને સીએમ પદને લઇને શિવસેના સામે મોટુ નિવેદન આપ્યુ છે.


દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું કે, શિવસેનાની માંગો પર મેરિટના આધાર પર વિચાર થઇ રહ્યો છે, અમારી પાસે કોઇ પ્લાન B કે C નથી, પણ એ વાત નક્કી છે કે હું જ મુખ્યમંત્રી બનીશ.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમારી પાસે 10 અપક્ષ ધારાસભ્યો છે, બહુ જલ્દી આ સંખ્યા 15 સુધી પહોંચી જશે.

ખાસ વાત છે કે, દેવેન્દ્ર ફડણવીસનું આ નિવેદન ત્યારે આવ્યુ છે જ્યારે શિવસેના સતત મુખ્યમંત્રી પદને લઇને 50-50 ફૉર્મ્યૂલા અપનાવવા દબાણ કરી રહી છે. આજે પણ શિવસેનાએ કહ્યું કે અમારી પાસે મહારાષ્ટ્રમાં કેટલાય વિકલ્પો છે.



શું છે બેઠકોનુ ગણિત....
બીજેપીએ રાજ્યની વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 105 બેઠકો પર જીત મેળવી છે. વળી, શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર જીત મેળવી શકી છે. રાજ્યમાં 13 બેઠકો અપક્ષના ફાળે આવી છે. આ ચૂંટણીમાં બીજેપી-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.