નવી દિલ્હીઃ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ બુધવારે પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાને નોટિસ ફટકારી છે. નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે કંપનીએ ગંભીર વિપરિત પરિણામો અંગે માહિતગાર કેમ ન કર્યા. આ કારણે યુકેમાં એસ્ટ્રાજેનેકાએ ઓક્સફોર્ડ કોવિડ વેક્સીનને પરીક્ષણને સ્થગિત કર્યું છે. જ્યારે દેશની અંદર 17 જગ્યાએ પરીક્ષણ ચાલી રહ્યું છે.


ડીજીસીઆઈએ કહ્યું કે, શું દર્દીની સુરક્ષાને ધ્યાનમાં રાખી બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણને આપવામાં આવેલી મંજૂરીને સ્થગિત ન કરી શકાય? ડીજીસીઆઈનું કહેવું છે કે પુણેની એસઆઈઆઈએ સુરક્ષાના હિસાબે બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણોના સચોટતા અને આડ અસરનું વિશ્લેષણ પ્રસ્તુત કર્યુ નહોતું. આ નોટિસ એવા સમયે આવી છે જ્યારે એસઆઈઆઈના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે, બીજા અને ત્રીજા તબક્કાનું પરીક્ષણ કોઈપણ જાતના અવરોધ વગર તમામ 17 સ્થળો પર ચાલુ રહેશે.

પૂનાવાલાએ કહ્યું કે, વેક્સીન પૂરી રીતે સુરક્ષિત છે. જ્યાં સુધી પરીક્ષણનો સવાલ છે ત્યાં સુધી અહીંયા એક પણ વોલંટિયર્સમાં કોઈ આડઅસર જોવા મળી નથી. એસઆઈઆઈએ એક નિવેદનમાં કહ્યું, અમે ડીજીસીઆઈના નિર્દેશો મુજબ કામ કરી રહ્યા છીએ અને હજુ સુધી અમને પરીક્ષણ અટકાવવા કહેવામાં આવ્યું નથી. જો સુરક્ષાને લઈ ડીજીસીઆઈને કોઈ ચિંતા છે તો અમે નિર્દેશો અને પ્રોટોકોલનું પાલન કરીશું.

ભારતમાં કુલ 100 સ્વયંસેવકોને કોવીશીલિડ વેક્સીન પરીક્ષણનો પ્રથમ ડોઝ મળી ચુક્યો છે. જો તેને સુરક્ષિત જાહેર કરવામાં આવશે તો ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા રસી બનાવવાની દિશામાં આગળ વધવામાં આવશે.