Dharmendra Pradhan Resignation: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષના શાસનમાં એક મોટો રાજકીય ઘટનાક્રમ સર્જાયો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સતત થઈ રહેલા હોબાળા અને વિરોધ પ્રદર્શનો બાદ આખરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા એક મહિનાથી કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતૃત્વમાં દિલ્હીના જંતર-મંતર ખાતે હજારો યુવાનો અને વિદ્યાર્થીઓ પેપર લીક તથા શિક્ષણ વ્યવસ્થાના મુદ્દે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ઘટના એટલા માટે પણ મોટી અને ઐતિહાસિક છે કારણ કે ભૂતકાળમાં CAA કે ખેડૂત આંદોલન જેવા રાષ્ટ્રવ્યાપી અને લાંબા વિરોધ પ્રદર્શનો છતાં સરકારે પોતાના કોઈ મંત્રીને હટાવવાનો ઇનકાર કર્યો હતો. મંત્રીના રાજીનામાની સાથે જ સરકારે પેપર લીક મામલે સંસદમાં નવો કાયદો લાવવાની અને ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરવાની કવાયત પણ તેજ કરી દીધી છે.
12 વર્ષમાં પહેલીવાર કોઈ કેન્દ્રીય મંત્રીની વિકેટ પડી
વર્ષ 2014 માં જ્યારે નરેન્દ્ર મોદીએ પહેલીવાર વડાપ્રધાન પદની કમાન સંભાળી, ત્યારથી લઈને અત્યાર સુધીમાં દેશમાં અનેક મોટા રાજકીય વિવાદો અને રાષ્ટ્રવ્યાપી આંદોલનો જોવા મળ્યા છે. પરંતુ, સરકાર પર ગમે તેટલું દબાણ આવ્યું હોય, કોઈ પણ કેન્દ્રીય મંત્રીએ આજ સુધી રાજીનામું આપ્યું નહોતું. આ જ કારણ છે કે ધર્મેન્દ્ર પ્રધાનના આ રાજીનામાને મોદી સરકારના 12 વર્ષના કાર્યકાળની સૌથી મોટી અને પહેલી એવી ઘટના માનવામાં આવી રહી છે, જ્યાં આંદોલનના દબાણમાં મંત્રીએ ખુરશી છોડવી પડી હોય.
જંતર-મંતર પર એક મહિનાથી ચાલતો હતો ઉગ્ર વિરોધ
છેલ્લા એક મહિનાથી દિલ્હીનું જંતર-મંતર વિરોધ પ્રદર્શનોનું કેન્દ્ર બની ગયું હતું. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સમર્થકો અને હજારો વિદ્યાર્થીઓ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સતત ધરણાં કરી રહ્યા હતા. આ યુવાનોનો ગુસ્સો મુખ્યત્વે કથિત પેપર લીક, કથળતી શિક્ષણ પ્રણાલી, પરીક્ષામાં સુધારા અને જવાબદારી નક્કી કરવા જેવા ગંભીર મુદ્દાઓ પર હતો. આ એક મહિના દરમિયાન ઘણી વાર એવા દ્રશ્યો પણ જોવા મળ્યા જ્યાં વિરોધ કરી રહેલા યુવાનો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ અને તણાવ ઊભો થયો હતો.
આ પણ વાંચોઃ શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
CAA અને ખેડૂત આંદોલન વખતે પણ સરકાર નહોતી ઝૂકી
આ રાજીનામું એટલે પણ ચોંકાવનારું છે કારણ કે ભૂતકાળમાં સરકારે ક્યારેય આ રીતે નમતું જોખ્યું નહોતું. અગાઉ જ્યારે નાગરિકતા સુધારા કાયદા (CAA) નો દેશભરમાં ઉગ્ર વિરોધ થયો ત્યારે દિલ્હીના શાહીન બાગથી લઈને અનેક રાજ્યોમાં મહિનાઓ સુધી દેખાવો ચાલ્યા હતા. આમ છતાં, કેન્દ્ર સરકારે ન તો કાયદો પાછો ખેંચ્યો હતો કે ન તો કોઈ મંત્રીએ રાજીનામું આપ્યું હતું.
આવું જ કંઈક ખેડૂત આંદોલન વખતે પણ જોવા મળ્યું હતું. ત્રણ કૃષિ કાયદાઓ સામે ખેડૂતોનો વિરોધ દેશનો સૌથી લાંબો ચાલતો વિરોધ હતો, જ્યાં ખેડૂતો લગભગ એક વર્ષ સુધી દિલ્હીની બોર્ડર પર અડગ રહ્યા. આખરે સરકારે ત્રણેય કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો, પરંતુ ત્યારે પણ કોઈ કેન્દ્રીય મંત્રીએ રાજીનામું આપ્યું નહોતું.
સરકાર હવે એક્શન મોડમાં: પરીક્ષા સુધારા માટે નવા બિલની તૈયારી
મંત્રીના રાજીનામા બાદ હવે સરકાર ડેમેજ કંટ્રોલ અને પરીક્ષા સુધારા માટે પૂરી રીતે એક્શન મોડમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આવતા સોમવારે જ સંસદમાં 'પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એમેન્ડમેન્ટ બિલ, 2026' રજૂ કરી શકે છે. આ નવા બિલનો મુખ્ય હેતુ સરકારી પરીક્ષાઓમાં થતા પેપર લીક અને અન્ય ગેરરીતિઓને ડામવા માટે અત્યંત કડક કાયદાકીય જોગવાઈઓ લાગુ કરવાનો છે.
આ પણ વાંચોઃ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત
પેપર લીક કાંડ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ કાર્યરત
આ બધાની વચ્ચે એક રાહતના સમાચાર એ પણ છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિઓના કેસોને ઝડપથી પતાવવા માટે બનાવેલી ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટે શનિવારથી પોતાનું કામકાજ શરૂ કરી દીધું છે. રાઉઝ એવન્યુ કોર્ટ સંકુલમાં વિશેષ ન્યાયાધીશ અનુ ગ્રોવર બાલિગાએ આ કોર્ટનો ચાર્જ સંભાળી લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, તાજેતરના બહુચર્ચિત NEET UG 2026 પેપર લીક કેસમાં પકડાયેલા 13 આરોપીઓનો કેસ પણ હવે આ જ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર થાય તેવી પૂરી શક્યતા છે.
