મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (parambir singh)તરફથી દાખલ પીઆઈએલ(PIL) પર બોમ્બે હાઈકોર્ટે (Bombay High court)નિર્ણય સંભળાવતા અનિલ દેશમુખ(Anil deshmukh) સામે સોમવારે સીબીઆઈ (CBI)તપાસના આદેશ આપ્યા છે. બોમ્બે હાઈકોર્ટના આ આદેશ બાદ દેશમુખે મહારાષ્ટ્ર(Maharashtra)ના ગૃહ મંત્રી પદ પરથી રાજીનામું આપી દિધુ છે. તેમણે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સોંપ્યું છે. સૂત્રો મુજબ, હવે ગૃહ મંત્રી પદનો ચાર્જ દિલીપ વલસે પાટિલને સોંપવામાં આવશે. આ સાથે જ દિલીપ વસે પાટિલ પાસે જે એક્સાઈઝ મિનિસ્ટ્રી છે તે અજિત પવારને સોંપવામાં આવશે. 


અનિલ દેશમુખે રાજીનામાંમા લખ્યું- આજે એડવોકેટ જયશ્રી પાટિલની અરજી પર માનનીય હાઇકોર્ટ દ્વારા CBI તપાસના આદેશ આપવામાં આવ્યા છે. માટે હું નૈતિક આધાર પર ગૃહ મંત્રીના પદ પરથી રાજીનામું આપું છું. હું તમને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે મને ગૃહમંત્રી પદ પરથી મુક્ત કરવામાં આવે.


મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને રાજીનામું આપતા દેશમુખે કહ્યું કે બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ તેમનું પદ પર રહેવું યોગ્ય નથી. જ્યારે, એનસીપી નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું 'હાઈકોર્ટના આદેશ બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખે શરદ પવાર અને અન્ય પાર્ટી નેતાઓ સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું તેઓ આ પદ પર નથી રહેવા માંગતા. તે મુખ્યમંત્રીને રાજીનામું આપવા ગયા છે. પાર્ટીએ મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો છે કે અનિલ દેશમુખના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવે.'


17 માર્ચે મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી પરમબીર સિંહને હટાવવામાં આવ્યા હતા. પદ પરથી હટાવાતા પરમબીર સિંહે 20 માર્ચે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે ગંભીર આક્ષેપો કરતા પોલીસ અધિકારી સચિન વાઝે મારફત બાર અને રેસ્ટોરન્ટમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવા કહ્યું હતું.


ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયા પાસે 25 ફેબ્રુઆરીએ એક સંદિગ્ધ કાર મળી હતી. જેમાં જિલેટિનની 20 સ્ટીર મળી આવી હતી. આ મામલે તપાસ મુંબઈ પોલીસ કરી રહી હતી. હવે આ કેસમાં એનઆઈએ તપાસ કરી રહ્યું છે. એનઆઈએ દ્વારા 13 માર્ચે સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી હતી.