નવી દિલ્હી: કોરોના વાયરસના ખતરાના કારણે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. તેની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દેશ આજે દીવા અને મીણબત્તી પ્રગટાવવાની તૈયારીમાં છે. ત્યારે સરકાર તરફથી એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં અપીલ કરવામાં આવી છે કે, મીણબત્તી કે દીવા પ્રગટાવતા પહેલા આલ્કોહોલવાળા સૈનિટાઈઝરનો પ્રયોગ ન કરે.


સરકારે શનિવારે લોકોને સલાહ આપી કે રવિવારે વડાપ્રધાન મોદીની અપીલ મીણબત્તી કે દીવા પ્રગટાવતા પહેલા આલ્કોહોલવાળા હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ ન કરે. કારણ કે આલ્કોહોલવાળા સેનિટાઈઝર જ્વલનશીલ હોય છે.

પીએમ મોદીએ શુક્રવારે વીડિયો સંદેશ દ્વારા દેશવાસીઓને અપીલ કરતા કહ્યું હતું કે, આ રવિવારે 5 એપ્રિલે આપણે બધાએ સાથે મળીને કોરોના સંકટને અંધકારને પડકાર આપવાનો છે. આ પ્રકાશની તાકાતનો પરિચય કરાવવાનો છે. આ 5 એપ્રિલે આપણે 130 કરોડ દેશવાસીઓની મહાશક્તિનું જાગણ કરવાનું છે. આ સમય દરમિયાન ઘરની તમામ લાઈટ બંધ કરશો, ચારેય બાજુએ જ્યારે દરેક વ્યક્તિ એક એક દીવો પ્રગટાવશે ત્યારે પ્રકાશની એ મહાશક્તિનો અનુભવ થશે.



ઉલ્લેખનીય છે કે, દેશમાં વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દર્દીઓની સંખ્યા 3,671 થઈ ગઈ છે. આ સંખ્યા covid19india.org વેબસાઇટ પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 525 દર્દીઓ વધ્યાં છે. અત્યાર સુધીનો આ સૌથી વધારે આંકડો છે. હવે કુલ સંક્રમિતોની સંખ્યા 3072 થઈ ગઈ છે. જેમાંથી 213 લોકો સાજા થઈ ઘરે પરત ફર્યાં છે અને 75 દર્દીઓના મોત નીપજ્યાં છે.