લોકડાઉનની વચ્ચે દેશમાં બસ, ટ્રેન સેવા શરૂ થયા બાદ આજથી ડોમેસ્ટિક હવાઈ મુસાફરીની શરૂઆત થઈ છે. લગભગ બે મહિના સુધી હવાઈ મુસાફરી બંધ રહ્યા બાદ ડોમેસ્ટિક ફ્લાઈટોનું સંચાલન સમગ્ર દેશમાં આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 4:45 મીનિટે પુણે માટે સૌથી પહેલી ફ્લાઈટ રવાના થઈ હતી.


આ ઉપરાંત ઈન્ડિગો ફ્લાઈટ પણ કોલકત્તા માટે રવાના થઈ હતી. આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળને છોડીને સમગ્ર દેશમાં મોટી રાતથી મુસાફરો એરપોર્ટ આવવાના શરૂ થઈ ગયા હતાં. આ સમયે મુસાફરો ઉત્સાહિત જોવા મળ્યાં પણ તેમના મનમાં કોરોનાનો ડર પણ જોવા મળ્યો હતો.

એક બાજુ દેશમાં ઘરેલૂ હવાઈ સેવા શરૂ થઈ છે ત્યારે અલગ-અલગ રાજ્યોના વિમાનમાં આવનાર મુસાફરો માટે અલગ-અલગ નિયમ બનાવ્યા છે. ઘણી જગ્યાએ 7 દિવસ સુધી કોરેન્ટાઈન તો ઘણી જગ્યાએ 14 દિવસ સુધી કોરેન્ટાઈન તો અમુક જગ્યાએ તો કોરેન્ટાઈન જ નથી. હવે આને લઈને અનેક સવાર ઉઠી રહ્યાં છે કે ખતરો એક જ છે તો પછી ફ્લાઈટથી આવનારા મુસાફરો બસ અથવા ટ્રેનથી આવનારા મુસાફરો માટે નિયમોમાં ભેદભાવ કેમ?

ઉત્તર પ્રદેશમાં કોરેન્ટાઈનને લઈને શું છે નિયમો?

રવિવારે યુપી સરકારે જે નિયમો બનાવ્યા છે તે પ્રમાણે ફ્લાઈટથી આવનારને જો એક અઠવાડિયામાં પરત ફરવાનું છે તો તેને કોરેન્ટાઈનની જરૂરિયાત નથી. જ્યારે યુપીમાં જે લોકો બસ અથવા ટ્રેનથી ઘરે પરત ફરી રહ્યાં છે તેને 14 દિવસ કોરેન્ટાઈન ફરજિયાત રહેવું પડશે. એટલે ફ્લાઈટથી આવનાર લોકોને થોડી છૂટ આપવામાં આવી છે.

દિલ્હીમાં કોરેન્ટાઈનને લઈને શું છે નિયમ?

દિલ્હી સરકારે કોરેન્ટાઈનને લઈને છૂટ આપી છે. દિલ્હી આવનારા હવાઈ મુસાફરોને કોરેન્ટાઈન ફરજિયાત રહેશે નહીં. જે મુસાફરોમાં કોરોનાના થોડા લક્ષણો હશે તે હોમ કોરેન્ટાઈન થશે અથવા સરકારી કોરેન્ટાઈન સેન્ટરમાં રહેશે. ટ્રેન અને બસથી આવનારા મુસાફરો માટે પણ દિલ્હી સરકારે આ નિયમ બનાવ્યા છે.

પંજાબમાં કોરેન્ટાઈનને લઈને શું છે નિયમ?

ટ્રેન, બસ અને ફ્લાઈટથી આવનાર મુસાફરો માટે પંજાબ સરકારે એક જ નિયમ રાખ્યો છે. પંજાબ સરકારના નિયમ પ્રમાણે જે યાત્રી વિમાનથી આવશે તેણે 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડશે. કોઈ ટ્રેન અથવા બસથી આવી રહ્યું છે તેને બે અઠવાડિયા માટે હોમ કોરેન્ટાઈન રહેવું પડશે.

મહારાષ્ટ્રમાં કોરેન્ટાઈનને લઈને શું છે નિયમ?

મહામારીનો સામનો કરી રહેલા મહારાષ્ટ્ર સરકારે પણ ફ્લાઈટથી આવાનાર મુસાફરોને 14 દિવસ માટે હોમ કોરેન્ટાઈન રહેવું પડશે. કોઈ ટ્રેન અથવા બસથી આવી રહ્યું છે તો તેને પણ બે અઠવાડિયા માટે હોમ કોરેન્ટાઈન રહેવું જરૂરી છે.

કર્ણાટકમાં કોરેન્ટાઈનને લઈને શું છે નિયમ?

કર્ણાટક સરકારે તો છ રાજ્યોને એક કેટેગરીમાં રાખ્યા છે અને આવનારા લોકો માટે અલગ-અલગ નિયમો બનાવ્યા છે. આ રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, એમપી, ગુજરાત અને તમિલનાડુ છે. આ છ રાજ્યોમાં જો લોકો ફ્લાઈટથી આવી રહ્યાં છે તો તેને 7 દિવસ સરકારી કોરેન્ટાઈન સેન્ટરમાં રહેવું પડશે. 7 દિવસ પછી યાત્રીને હોમ કોરેન્ટાઈનમાં રહેવું પડશે. જો ટ્રેન અથવા બસથી કર્ણાટક પહોંચે છે તો તેને 14 દિવસ હોમ કોરેન્ટાઈનમાં રહેવું પડશે.