AIIMS ના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ  આશંકા વ્યક્ત કરી છે કે ભારતમાં છથી આઠ અઠવાડિયાની અંદર કોરોના વાયરસની ત્રીજી લહેર આવી શકે છે.  તેમણે એ વાતનો પણ સંકેત આપ્યો છે કે ત્રીજી લહેરથી 'બચી નહીં શકાય'. માર્ચના અંતમાં શરૂ થયેલા લૉકડાઉનના તબક્કા બાદ દેશના અનેક હિસ્સામાં હાલ અનલૉકની પ્રક્રિયા ચાલી રહી છે. જોકે, નિષ્ણાતોએ થોડા સમય પહેલા જ દેશમાં ત્રીજી લહેર આવશે તેવી આશંકા વ્યક્ત કરી છે.


ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ  કહ્યુ,  "હવે આપણે જ્યારે અનલૉક શરૂ કરી દીધું છે તો ફરીથી કોવિડ સંબંધી તકેદારીમાં બેદરકારી જોવા મળી રહી છે. એવું નથી લાગી રહ્યું કે આપણે પહેલી અને બીજી લહેર વચ્ચે જે થયું તેમાંથી કંઈ શીખ મેળવી છે. ફરીથી ભીડ એકઠી થઈ રહી છે. લોકો એકબીજાને મળી રહ્યા છે. 


સૂત્રોના હવાલેથી કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં અંદાજ લગાવવામાં આવી રહ્યો છે તેના પહેલા જ ત્રીજી લહેર આવી શકે છે. આ અંગેની જાણકારી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તરફથી બનાવવામાં આવેલી નિષ્ણાત સમિતિ તરફથી આપવામાં આવી છે. નિષ્ણાતોએ કહ્યુ કે, રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટ મળ્યા બાદ ભીડ જોવા મળી રહી છે. આથી કેસની સંખ્યા ખૂબ ઝડપથી વધી શકે છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્રીજો તબક્કો જ્યારે ચરમ પર હશે ત્યારે રાજ્યમાં આઠ લાખ એક્ટિવ કેસ થઈ શકે છે.


દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. સતત 12માં દિવસે નવા કેસની સંખ્યા 1 લાખ કરતાં ઓછી આવી છે અને સતત પાંચમાં દિવસે 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે. કોરોનાથી મોતનો આંકડો પણ ઘટ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 60753 નવા કોરોનાના કેસ આવ્યા અને 1647 સંક્રમિતોના મોત થયા છે.  97,743 લોકો કોરોનાથી ઠીક થયા છે .


 


દેશમાં કોરોનાની સ્થિતિ



  • કુલ કોરોના કેસ - બે કરોડ 98 લાખ 23 હજાર 546

  • કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 86 લાખ 78 હજાર 390

  • કુલ એક્ટિવ કેસ - 7 લાખ 60 હજાર  

  • કુલ મોત - 3 લાખ 85 હજાર 137


દેશમાં સતત 37માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ લોકોની સંખ્યા વધારે છે. 74 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા એક્ટિવ કેસ નોંધાયા છે. 18 જૂન સુધી દેશભરમાં 27 કરોડ 23 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 33 લાખ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં અંદાજે 38 કરોડ 92 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે અંદાજે 19 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવિટી રેટ 4 ટકાથી વધારે છે.