નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના ર્દીની સારવાર કરતી વખતે અત્યાર સુધીમાં કુલ 196 ડોક્ટરોએ જીવ ગુમાવ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને શનિવારે આ જાણકારી આપી અને પ્રધાનમંત્રી મોદી આ મુદ્દે ધ્યાન આપે તેવો આગ્રહ કર્યો હતો.


આઈએમએ ચિંતા વ્યકત કરતાં જણાવ્યું કે, અમારા લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં 196 ડોકટરોએ જીવ ગુમાવ્યો છે. જેમાંથી 170ની ઉંમર 50 વર્ષથી વધુ હતુ અને તે પૈકીની 40 ટકા જનરસ પ્રેક્ટિશનર્સ હતા. સંગઠનના કહેવા મુજબ, તાવ અને તેની સાથે સંકળાયેલા લક્ષણો મોટા લોકો પહેલા જનરલ પેક્ટિસનર્સનો સંપર્ક કરે છે.

પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં આઈએમએ ડોક્ટરો અને તેમના પરિવારોની પૂરતી દેખભાળ રાખવામાં આવે તેવો આગ્રહ કર્યો. ઉપરાંત તમામ સેક્ટરના ડોક્ટરોને સરકાર તરફથી જીવન વીમો આપવામાં આવે તેવી માંગ કરી. આઈએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રાજન શર્માએ કહ્યું, આઈએમએ દેશમાં સાડા ત્રણ લાખ ડોક્ટરોનું પ્રતિનિધિત્વ કરે છે. કોવિડ-19 સરકારી અને ખાનગી સેક્ટરમાં ભેદ નથી કરતો અને બધાને સરખી રીતે પ્રભાવિત કરે છે તે નોંધવું જરૂરી છે. ડોક્ટરો અને તેમના પરિવારજનોને દાખલ થવા બેડ નથી મળતા તે વધારે નિરાશાજનક છે. મહામારી દરમિયાન ડોક્ટરોની સુરક્ષા તથા કલ્યાણ પર પૂરતું ધ્યાન આપવામાં આવે તેવો ભારત સરકારને આગ્રહ કરીએ છીએ.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં આજે 24 કલાક દરમિયાન કોરોનાના 61,537 કેસ નોંધાયા હતા અને 933 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 20,88,612 પર પહોંચી છે અને 42,518 લોકોના મોત થયા છે. દેશમાં 14,27,006 લોકો કોરોનામાંથી સાજા થઈ ગયા છે અને 6,19,088 એક્ટિવ કેસ છે.