નવી દિલ્હીઃ બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીને ગાળ આપવાના આરોપમાં બીજેપીના પૂર્વ ઉપાધ્યક્ષ દયાશંકર સિંહને 14 દિવસ માટે જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. દયાશંકરને ગઇકાલે રાત્રે મઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. દયાશંકર સિંહે જેલ જતાં અગાઉ બીએસપી નેતા નસીમુદ્દીન સિદ્દીકી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.


ધરપકડ બાદ દયાશંકરે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યુ હતું કે, તેમના પરિવારની તમામ વ્યક્તિઓ સાથે અન્યાય થયો છે. તેમના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે. એવામાં સરકાર તેઓની ધરપકડ કરીને બતાવે. નોંધનીય છે કે દયાશંકરની પત્ની તરફથી માયાવતી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. દયાશંકરની બિહારના બક્સરથી ધરપકડ કરવામાં આવી હતી.