નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ ઘટના કે પોસ્ટ વાયરલ થતી હોય છે. જોકે તેમાંની ઘણી ફેક પણ હોય છે. આવી જ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં જણાવવામાં આવ્યું છે ભારતીય રેલ્વેનું સંપૂર્ણ ખાનગીકરણ થશે. માસિક પાસ તથા વરિષ્ઠ નાગરિકોને મળતી છૂટ પણ બંધ કરાશે. પીઆઈબી ફેક્ટ ચેકમાં આ દાવો બોગસ હોવાનું જણાયું છે.


પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું, સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રેલ્વેનું પૂરી રીતે ખાનગીકરણ કરાશે અને સાથે જે માસિક પાસ તથા વરિષ્ઠ નાગરિકોને મળતી છૂટ જેવી સુવિધાઓ સમાપ્ત કરી દેવામાં આવશે. પીઆઆઈબી ફેક્ટ ચેકમાં આ દાવો ફેક છે. કેન્દ્ર સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.



આ પહેલા અનેક વખત રેલ્વેના ખાનગીકરણના સવાલ પર રેલ મંત્રી પીયૂષ ગોયલ કહી ચુક્યા છે કે રેલ્વે દેશની જનતા સાથે જોડાયેલી છે અને તેનું પૂરી રીતે ખાનગીકરણ નહીં થાય. મોદી સરકારે આગામી કેટલાક વર્ષોમાં ભારતીય રેલ્વેમાં 50 લાખ કરોડ રૂપિયાના રોકાણનો પ્લાન તૈયાર કર્યો છે.

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.