નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવારનવાર કોઇને કોઇ ખબર કે વીડિયો વાયરલ થતો હોય છે. જેમાંના ઘણા ભ્રામક પણ હોય છે. હાલ એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં રેલવે મંત્રાલય દ્વારા ક્લાર્કની પોસ્ટ માટે ઓફ લેટર જાહેર કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. મેસેજ વાયરલ થયા બાદ સરકારે આ અંગે સ્પષ્ટતા કરવી પડી હતી.


સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા લેટર મુજબ, રેલવે દ્વારા ક્લાર્કની પોસ્ટ માટે ઉમદવારોને ઓફ લેટર ઈસ્યુ કર્યા છે. આ ખબર વાયરલ થયા બાદ  પીઆઈબી ફેક્ટચેકે ટ્વિટ કરીને લખ્યું, આ લેટર ફેક છે. રેલવે મંત્રાલયે આવો કોઇ ઓફર લેટર ઇસ્યુ કર્યો નથી.



પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.