ત્રણેય બિલ ખેડૂતોના પક્ષમાં, કોગ્રેસનું કામ રાજનીતિ કરવાનું છેઃ જેપી નડ્ડા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Sep 2020 03:00 PM (IST)
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે કહ્યું હતું કે, ખેડૂતો સંબંધિત જે ત્રણ બિલને કેન્દ્ર સરકાર સંસદમાં લઇને આવી છે તે ખૂબ જ ક્રાંતિકારી છે,
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે કહ્યું હતું કે, ખેડૂતો સંબંધિત જે ત્રણ બિલને કેન્દ્ર સરકાર સંસદમાં લઇને આવી છે તે ખૂબ જ ક્રાંતિકારી છે, જમીની સ્તર પર પરિવર્તન લાવનારા છે અને ખેડૂતોની તસવીર બદલવાની છે અને ત્રણેય બિલનો કોગ્રેસનો વિરોધ તેનો બેવડો ચહેરો બતાવે છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન ખેડૂતો સંબંધિત ખેડૂત પેદાશ વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સગવડતા) બિલ 2020, ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ પર કરાર બિલ અને આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ 2020 લઇને આવી છે. આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ મંગળવારે લોકસભામાંથી પાસ કરવામાં આવ્યું હતુ. નડ્ડાએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા દાવો કર્યો હતો કે આ ત્રણેય બિલ ખુબ દૂરંદ્રષ્ટિ ધરાવે છે. કૃષિક્ષેત્રમાં રોકાણ વધારવામાં આ ત્રણેય બિલ મહત્વપૂર્ણ સાબિત થશે. ખેડૂતોના ઉત્પાદનોની કિંમતો ઝડપથી આગળ વધશે. નડ્ડાએ કહ્યું કે, ત્રણેય બિલ ખેડૂતોને નવી આઝાદ હવા આપવાનું કામ કરશે. બાદમાં ખેડૂતોને પોતાના ઉત્પાદનો વેચવાની આઝાદી મળશે. આ ત્રણેય બિલ ખૂબ જ ક્રાંતિકારી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોગ્રેસ આજે આ બિલનો વિરોધ કરી રહી છે જ્યારે ચૂંટણીમાં ખેડૂતોને લલચાવવા માટે તે આ પ્રકારના વચનોનો પોતાના ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરે છે. બિલને લઇને કોગ્રેસનો વિરોધ રાજનીતિથી વિશેષ કાંઇ નથી. આ તેનો બેવડો ચહેરો બતાવે છે. તમામ ચીજમાં તેનું કામ રાજનીતિ કરવાનું છે.