ખેડૂતોનું આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું છે. સરકાર સાથે ચાલતી વાતચીત વચ્ચે ભારતીય કિસાન સંઘે 8મી ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. ખેડૂતોએ આંદોલનને ઉગ્ર બનાવવાની સાથે ચિમકી આપી કે, આઠમી ડિસેમ્બરે દિલ્લી તરફના તમામ રસ્તાઓ બંધ કરાશે. તો આજે સરકાર અને ખેડૂતો વચ્ચે ફરી બેઠક યોજાવાની છે.


ખેડૂતોએ પ્રાર્થના કરી કે, આજે સરકાર સાથેની વાતચીત સફળ રહે. સાથે જ ખેડૂતોએ એલાન કર્યું કે આજની બેઠક આર યા પારની રહેશે. જ્યાં સુધી કાયદો પરત નહીં લેવાય ત્યાં સુધી અમે પરત નહીં જઇએ. તો ખેડૂત આંદોલનનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજીકર્તાએ માગ કરી કે, ખેડૂતોને દિલ્હીની સરહદ પરથી તાત્કાલિક હટાવવાના નિર્દેશ આપવામાં આવે કેમ કે, પ્રદર્શનકારીઓના કારણે કોરોનાનો ખતરો વધી શકે છે. અરજીમાં શાહીબાગના પ્રદર્શનને લઇને સુપ્રીમ કોર્ટએ અગાઉ કરેલી ટિપ્પણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે આઠમીએ ઉત્તર ભારતમાં ટ્રાન્સપોર્ટર્સ દ્વારા પણ ખેડૂતોના સમર્થનમાં સ્ટ્રાઇકની જાહેરાત કરાઇ છે, 95 લાખ ટ્રકર્સના સંગઠનો દ્વારા કહેવાયું છે કે જો કૃષિ કાયદા રદ ન કરાયા તો ટ્રકોના પૈડા થંભી જશે અને સપ્લાય પૂર્વઠો ઠપ કરાશે. જ્યારે ખેડૂતોએ પણ આઠમી ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે તેથી બેવડી અસર જોવા મળી શકે છે. ખેડૂતોએ દિલ્હીમાં શરૂ કરેલા આંદોલનનો નવમો દિવસ હતો અને આંદોલન વધુ ઉગ્ર બનતું જાય છે.

ખેડૂતોએ શનિવારે જે બેઠક યોજાશે તેમાં બે મુખ્ય માગણીઓ મુકવાનું નક્કી કર્યું છે, પ્રથમ માગણી ત્રણેય નવા કૃષિ કાયદાઓને રદ કરવામાં આવે અને કૃષિના પાકોના ટેકાના ભાવને બંધારણીય સુરક્ષા કે ખાતરી આપવામાં આવે અને તેને લઇને કાયદો પણ ઘડવામાં આવે. ખેડૂત સંગઠનોના આશરે 51 જેટલા પ્રતિનિિધઓએ દિલ્હીમાં મહત્વની બેઠક યોજી હતી જેમાં આઠમીએ ભારત બંધનું એલાન થયું હતું.