નવી દિલ્હી: કૃષિ કાયદાને લઈ દિલ્હીની સરહદ પર ખેડૂતોના પ્રદર્શનનો આજે 66મો દિવસ છે. દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂત નેતા આજે ગાંધીની પુણ્યતિથિ પર એક દિવસનો ઉપવાસ કરી રહ્યાં છે. તેની વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 29 જાન્યુઆરી રાત્રે 11 વાગ્યાથી 31 જાન્યુઆરી રાતે 11 વાગ્યા સુધી સિંઘુ, ગાઝીપુર, ટિકરી બોર્ડર અને તેની આસ પાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ અસ્થાયી રીતે બંધ કરવાના આંદેશ આપ્યા છે.


પ્રશાસનનો આ નિર્ણય ખેડૂતના પ્રદર્શનની સ્થિતિને સામાન્ય બનાવી રાખવા માટે લેવામાં આવ્યો છે. આ પહેલા ટિકરી અને સિંધુ બોર્ડર પર ઈન્ટરનેટ સેવા પર રોક લગાવવામાં આવી હતી.



શુક્રવારે સિંઘુ બોર્ડર પર કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. જેમાં દિલ્હીના અલીપૂરના એસએચઓ પ્રદીમ પાલીવાલ ઘાયલ થયા હતા. સિંઘુ બોર્ડર પર હિંસા મામલે 44 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પહેલા  હરિયાણા સરકારે રાજ્યના 17 જિલ્લાઓમાં ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓ પર 24 કલાક માટે રોક લગાવી દીધી હતી.


ઉલ્લેખનીય છે કે, રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા બાદ ખેડૂતોનું આંદોલન ધીમુ પડ્યું હતું, જો કે શુક્રવારથી એકવાર ફરી જોર પકડવા લાગ્યું છે અનેે પ્રદર્શન સ્થળે ખેડૂતોની ભીડ ભેગી થવા લાગી છે.