નવી દિલ્હી:   દિલ્હીની સીમાઓ પર નવા કૃષિ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને 50 દિવસ થવા આવ્યા છે. સરકાર સાથે અનેક તબક્કામાં વાતચીત અને સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ પણ ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવાની માંગ પર અડગ છે. ત્યારે બીજી તરફ બુધવારે લોહડીનાં તહેવારનાં પ્રસંગે ખેડૂતોએ ત્રણેય કૃષિ કાયદાઓની કોપીઓ સળગાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો અને લોહડી ઉજવી હતી. નેતાઓએ આંદોલન  વ્યાપક કરવાને લઈ રણનીતિ બનાવી છે.


હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવતા લોહડીના તહેવારને ખેડૂતોએ અલગ અંદાજમાં ઉજવ્યો હતો. આંદોલન કરી રહેલા ખેડૂતોએ કૃષિ કાયદાની કોપીઓ સળગાવીને ઉજવણી કરી હતી અને કાયદો પરત નહીં લે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ લીધો હતો. સિંધુ બોર્ડર પર સંયુક્ત ખેડૂત મોર્ચાના નેતાઓએ આગળની રણનીતિ બનાવવાને લઈ બેઠક યોજી હતી તેના બાદ કાયદાની કોપીઓ સળગાવી હતી. ખેડૂત સંગઠનોએ સિંધુ બોર્ડર પર એક લાખ કોપીઓ સળગાવાનો દાવો કર્યો હતો.



ઉલ્લેખનીય છે કે,  સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન પર એક મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદા પર હાલ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે કોર્ટ એક કમિટીની પણ રચના કરી છે. જેમાં ભારતીય કિશાન યુનિયનના પ્રેસિડન્ટ ભૂપિંદર માનસિંહ, ઇન્ટરનેશનલ પોલીસી હેડ ડો. પ્રમોદ જોશી, એગ્રિકલ્ચર ઇકોનોમિસ્ટ અશોક ગુલાટી, શેતકરી સંગઠનના અનિલ ધનવતનો સમાવેશ થાય છે.