નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીના કારણે આખા દેશમાં લોકડાઉન છે. ભારત સહિત આખી દુનિયા આ મહામારી સામે લડવાની રીત શોધી રહી છે. આ વચ્ચે ભારતમાં પણ કેન્દ્ર સરકારે દેશવાસીઓ માટે એક ચેલેન્જ શરૂ કરવા જઇ રહી છે. આ ચેલેન્જનું નામ છે ‘ફાઇટ કોરોના આઇડિયાથોન’.




ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD) ઇનોવેશન સેલ મળીને એક ચેલેન્જ શરૂ કરી રહ્યા છે. આ ચેલેન્જમાં ભાગ લઇને તમે પોતાના આઇડિયા શેર કરી શકો છો. જે આઇડિયાની પસંદગી કરવામાં આવશે તેમને 42 લાખ રૂપિયા સુધીનું ઇનામ આપવામાં આવશે.

આ બે દિવસની ઇવેન્ટ છે જેનું આયોજન ઓનલાઇન પ્લેટફોર્મ પર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ, ઇનોવેટર્સ, રિસર્ચર્સ, એજ્યુકેટર્સ આ આઇડિયાથોનમાં સામેલ થઇને કોરોના વાયરસ સામે લડવા અને તેને હરાવવાના આઇડિયા બતાવી શકે છે.

આ આઇડિયાથોન 27 અને 28 માર્ચના રોજ આયોજીત કરવામાં આવશે. આ બે દિવસમાં તમારે પોતાના આઇડિયા બતાવવા ઓનલાઇન પ્લેટફોર્મ પર સબમિટ કરી શકો છો. તમામ આઇડિયા પર કોરોના વાયરસ સામે લડવા કેટલો અસરકારક છે તેના પર ચર્ચા કરવામાં આવશે. બાદમાં બેસ્ટ સોલ્યૂશન આઇડિયા સિલેક્ટ કરવામાં આવશે.

એઆઇસીટીઇ દ્ધારા વિનિંગ આઇડિયા આપનારા વિદ્યાર્થી કે એજ્યુકેટર્સને બે લાખ રૂપિયા સુધી રોકડ ઇનામ આપવામાં આવશે. તે સિવાય 40 લાખ રૂપિયા સુધી ઇનોવેશન ગ્રાન્ટ પણ અપાશે. આ આઇડિયાથોનમાં રજીસ્ટર કરવા માટે 26 માર્ચ બપોરે 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે.