નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમન આજે જાહેર ક્ષેત્રોની બેંકોના પ્રમુખો સાથે સમીક્ષા બેઠક કરશે. જેમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠક કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત અર્થતંત્રને ઉગારવાના પ્રયાસનો હિસ્સો છે.


વીડિયો કોન્ફરન્સથી બેઠક થશે

સૂત્રના જણાવ્યા મુજબ, આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે. જેમાં ઋણ લેનારા લોકોને વ્યાજદરમાં ઘટાડાનો ફાયદો પહોંચાડવા અને ઈએમઆઈ ચૂકવણી માટે બેંકો તરફથી મુદત આપવાની યોજનાની પ્રગતિ સમીક્ષા કરાશે.

સૂત્રએ જણાવ્યું હતું કે, સરકાર બેંકોથી MSMEને કાર્યકારી મૂડીના 10થી 15% જેટલી વધારાની ક્રેડિટ લાઇન પ્રદાન કરવાની દરખાસ્ત પર વિચાર કરી રહી છે. આ લોન આપવાનો મુખ્ય હેતુ સમયસર પગારની ચુકવણી કરવાનો છે. આ લોનને ક્રેડિટ ગેરંટી આપી શકાય છે અને જો સાહસો લોન ચૂકવવામાં અસમર્થ હોય તો સરકાર તેને વળતર આપશે.

સરકાર અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે પ્રોત્સાહક પેકેજ પર વિચાર કરી રહી છે. આ પેકેજમાં, સરકાર MSME માટે વધારાની ક્રેડિટની જાહેરાત કરી શકે છે.