નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને સહારો આપવા માટે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક રાહત પેકેજના પાંચમા તબક્કાની જાહેરાતો કરી રહી છે. નિર્મલા સીતારમણે  કહ્યું કે,છેલ્લા બે દિવસોની જાહેરાતોમાં અનેક સુધારાઓ કર્યા છે જેમા જમીન, મજૂર, લિક્વિડિટી અને કાયદાને સંબોધિત કરવામાં આવ્યા છે. આજે આપણે આ શ્રેણીમાં આગળ વધીશું. તેમણે કહ્યું કે, ,ગરીબોને તરત જ આર્થિક મદદ પહોંચાડવામાં આવી રહી છે. સાથે તેમને જમવાનું આપવામાં આવી રહ્યું છે.




નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે, કુલ 20 કરોડ જનધન એકાઉન્ટમાં પૈસા જમા કરવામાં આવ્યા છે. જરૂરિયામંદોને સીધી રોકડ રકમ આપવામાં આવી રહી છે. 16,394 કરોડ સીધા ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. 6.81 કરોડ ઉજ્જવલા સિલિન્ડર આપવામાં આવ્યા છે.





રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુરે  કહ્યુ કે, દેશમાં સ્વાસ્થ્યની ચિંતા કરતા વડાપ્રધાન મોદીએ 15000 કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરી હતી જેમાંથી 4113 કરોડ રાજ્યોને આપવામાં આવ્યા છે. આવશ્યક વસ્તુઓ પર 3750 કરોડનો ખર્ચ કરાયો છે. ટેસ્ટિંગ લેબ અને કિટ્સ પર 505 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. મનરેગા માટે 40 હજાર કરોડ રૂપિયાના વધારાના જાહેર કરવામાં આવ્યા છે.



નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે પ્રવાસી મજૂરો માટે ચલાવવામાં આવેલી ટ્રેનોનું ભાડુ 85 ટકા કેન્દ્ર સરકારે આપ્યું છે. ટ્રેનની અંદર જમવાનું પણ અપાયું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વર્તમાન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને એટલા માટે રોકડને ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર કરી શક્યા. 2000 રૂપિયાનો એક હપ્તો 8.19 કરોડ ખેડૂતો સુધી પહોચ્યો છે અને જેનો કુલ ખર્ચ 16,394 કરોડ રૂપિયા છે.સીતારમણે કહ્યુ કે, દાળ પણ ત્રણ મહિના અગાઉ એડવાન્સમાં આપવામાં આવી છે. હું FCI, NAFED અને  રાજ્યોની પ્રશંસા કરું છું કે તેમણે લોજિસ્ટિકનો આટલો મોટો પડકાર છતાં આટલા વ્યાપક પ્રમાણમાં દાળ અને અનાજ વહેંચ્યુ છે.



અનુરાગ ઠાકુરે કહ્યું કે, નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ જે વૃદ્ધ, અપંગ અને વિધવાઓ માટે શરૂ કરવામાં આવ્યો હતો જે હેઠળ 2 કરોડ 81 લાખ લાભાર્થીઓને 2,807 કરોડ રૂપિયા અત્યાર સુધી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જેમાંથી કુલ 3000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાના હતા.