નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે જાહેર કરેલા 20 લાખ કરોડના આર્થિક પેકેજની વિગતો આપવા નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે MSMEની વ્યાખ્યા બદલવામાં આવી છે. વધારે ટર્નઓવર છતાં એમએસએમઈનું સ્ટેટસ ખતમ નહીં થાય.


નાણા મંત્રીએ કહ્યું, અમે MSMEની વ્યાખ્યા બદલી રહ્યા છીએ. હવે એમએસએમઈ માટે રોકાણની મર્યાદા વધારવામાં આવી રહી છે. હવે તેને ટર્નઓવર અંતર્ગત લાવવામાં આવશે.

10 કરોડ સુધીનું રોકાણ અને 50 કરોડનું ટર્નઓવરવાળા ઉદ્યોગો સ્મોલ યૂનિટ ગણાશે. 20 કરોડ સુધીનું રોકાણ અને 100 કરોડનું ટર્નઓવરવાળા મીડિયમ એન્ટરપ્રાઇઝ ગણાશે. એક કરોડ સુધીનું રોકાણ અને 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતાં એકમો માઈક્રો યૂનિટ ગણાશે. કારોબાર વધવા પર પણ એમએસએમઈનો લાભ મળતો રહેશે. આ રીતે એમએસએમઈની યોજનાથી લાભ થશે.

તેમણે એમ પણ કહ્યું, MSME માટે ઈ-માર્કેટ લિંકેજ પર ભાર આપવામાં આવશે. સરકાર એમએસએમઈના બાકી પેમેન્ટ 45 દિવસની અંદર કરશે.