નવી દિલ્હીઃ આસામમાં એનઆરસીના ડેટા અચાનક તેની વેબસાઇટ પર હટવા મામલે એનઆરસીના એક પૂર્વ અધિકારી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ એફઆઇઆર નોકરી છોડતા અગાઉ કથિત રીતે સંલેદનશીલ દસ્તાવેજોનો પાસવર્ડ ન આપવાના કારણે નોંધવામાં આવી છે.


એનઆરસીના રાજ્ય સંયોજક હિતેશ દેવ શર્માએ કહ્યું કે, શાસકીય ગોપનિયતા અધિનિયમ હેઠળ એનઆરસીના પૂર્વ પ્રોજેક્ટ અધિકારી વિરુદ્ધ પલટન બજાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે કારણ કે અનેક વાર લેખિતમાં જણાવ્યા છતાં તેમણે દસ્તાવેજોનો પાસવર્ડ આપ્યો નહોતો.

તેમણે કહ્યું કે, છેલ્લા વર્ષે 11 નવેમ્બરના રોજ રાજીનામું આપ્યું હોવા છતાં પણ તેમણે પાસવર્ડ આપ્યો નહોતો. તે કરાર પર હતા અને હવે નોકરી છોડ્યા બાદ તેમને પાસવર્ડ રાખવાનો અધિકાર નથી.  શાસકીય ગોપનિયતા અધિનિયમનો ભંગ કરવા બદલ એનઆરસી પ્રોજેક્ટ અધિકારી વિરુદ્ધ બુધવારે એફઆઇઆર દાખલ કરાઇ હતી.

શર્માએ કહ્યું કે, એનઆરસી કાર્યાલયે અનેકવાર તેમને પાસવર્ડ આપવા માટે પત્ર લખ્યો હતો પરંતુ તેમણએ કોઇ જવાબ આપ્યો નહોતો. એનઆરસીની અંતિમ યાદી 31 ઓગસ્ટ 2019માં જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ વાસ્તવિક ભારતીય નાગરિકોને સામેલ કર્યા બાદ અને  બહાર કરવામાં આવેલા લોકોની આખી યાદી સતાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી હતી.