પ્રયાગરાજઃ પ્રયાગરાજમાં કુંભ શરૂ થાય તે અગાઉ મોટી દુર્ઘટના બની હતી. સોમવાર અહી અખાડાના ટેન્ટમાં આગ લાગી ગઇ હતી. આગ એટલી મોટી હતી કે અચાનક ડઝન જેટલા ટેન્ટ આગમાં ખાખ થઇ ગયા હતા. આગની ઘટના બાદ ફાયર બ્રિગ્રેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી.


અધિકારીઓના મતે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, સિલેન્ડરમા વિસ્ફોટને કારણે આગ લાગી છે. નોંધનીય છે કે મંગળવારે પ્રયાગરાજમાં કુંભમાં પ્રથમ શાહી સ્નાન થવાનું છે એવામાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચશે. ઘટના પર પહોંચેલા અધિકારીઓના મતે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જ્યારે આગમાં કોઇએ જીવ ગુમાવ્યો નથી.

ઘટના સ્થળ પર હાજર લોકોના મતે અચાનક જ દિગંબર અખાડાના એક ટેન્ટમાં આગ લાગવા લાગી હતી ત્યારબાદ નજીકના ટેન્ટમાં પણ આગ ફેલાઇ હતી. પ્રયાગરાજમાં સંગમની પાસે બનેલી ટેન્ટ સિટીમાં અનેક સેક્ટર બનાવવામાં આવ્યા છે. સેક્ટર 16માં આગની ઘટના બની હતી. નોંધનીય છે કે કુંભ શરૂ થયા અગાઉ આગ લાગવાની ઘટનાને કારણે વહીવટીતંત્ર પર સવાલ ઉભા થયા છે.