નવી દિલ્હીઃ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની પ્રથમ બેઠક 19 ફેબ્રુઆરીએ યોજાશે. આ બેઠક ટ્રસ્ટની દિલ્હી ઓફિસ અને પરાસરણના નિવાસસ્થાન પર યોજાશે. બેઠક સાંજે પાંચ વાગ્યે બોલાવવામાં આવી છે. બેઠક એજન્ડામાં ટ્રસ્ટના અધ્યક્ષ, મહામંત્રી, અને કોષાધ્યક્ષની ચૂંટણીની તેનાથી વધારે ટ્રસ્ટમાં રજીસ્ટ્રર માટે બે સભ્યોની ચૂંટણી બહુમતના આધાર પર હશે.


રામ મંદિરના નિર્માણ 2 એપ્રિલ એટલે કે રામનવમી અથવા 26 એપ્રિલ અક્ષય તૃતીયાના દિવસે શરૂ થઇ શકે છે. સૂત્રોના મતે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કાર્ય આ વર્ષે રામનવમી અથવા અક્ષય તૃતીયાના દિવસે શરૂ થઇ શકે છે. જોકે, આ મામલામાં અંતિમ નિર્ણય ટ્રસ્ટની પ્રથમ બેઠકમાં લેવામાં આવશે.

આ અગાઉ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક સભ્યએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, બે મહિનાની અંદર રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઇ જશે. આ માટે જે સૌથી શુભ તારીખ છે તે છે બે એપ્રિલ છે.

અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને કેન્દ્રની નરેન્દ્ર મોદી  સરકારે ટ્રસ્ટની જાહેરાત કરી છે. ટ્રસ્ટની જાહેરાત બાદ ટ્રસ્ટીઓના નામ સામે આવ્યા છે. અધ્યક્ષનું નામ હજુ સુધી નક્કી નથી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં 15 ટ્રસ્ટી હશે જેમાંથી એક ટ્રસ્ટી હંમેશા દલિત સમાજનો રહેશે.