મુંબઈ: એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી ધારાવીમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. અહીં કોરોના સંક્રમણનો એક પણ નવો કેસ નથી નોંધાયો. આ પહેલા મુંબઈ અને ધારાવી બંને કોરોનાના હોટસ્પોટ બનેલા હતા અને જાણકાર એ વાતને લઈ ચિંતિત હતા કે જે રીતે લોકો મુંબઈના ધારાવીમાં રહે છે, જો આ ફેલાશે તો ખૂબ જ ખતરનાક પરિણામ સામે આવી શકે છે.




ધારાવીમાં કોરોના સામે લડવા માટે અપનાવવામાં આવેલા '4-ટી મોડલ' (ટ્રેસિંગ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટિંગ)ની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ પ્રશંસા કરી ચૂક્યું છએ. એપ્રિલ-મે મહિનામાં અહીં અચાનક વધેલા કેસને લઈ મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસનની ચિંતામાં વધારો કર્યો હતો.

પરંતુ છેલ્લા 19 દિવસથી અહીં કોરોના દર્દીઓની સંખ્યા સિંગલ ડિઝિટમાં ચાલી રહી છે. એક્ટિવ કેસ પણ માત્ર 10 છે હાલ, આ રીતે સામાન્ય થઈ રહેલી ધારાવી ફરી એક વખત ઝડપ પકડવાની કોશિશ કરતી જોવા મળી રહી છે.

મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના સંક્રમણના 3 હજાર 431 કેસ નોંધાયા છે અને 71 લોકોના મોત થયા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ મુજબ, રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 19 લાખ 13 હજાર 382 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કોરોનાથી કુલ 18 લાખ 6 હજાર 298 લોકો રિકવર થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 56 હજાર 823 છે.