Cyclone Yaas: ચક્રવાત 'યાસ' ઝડપથી ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે, ઓડિશા અને બંગાળના કાંઠા વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે, અહીં ભારે પવન ફૂંકાવવાની સાથે સાથે ભારે વરસાદ પડવાનો શરૂ થઇ ગયો છે. ઓડિશાના ભદ્રક અને બાલાસોરમાં સૌથી વધુ તબાહીની આશંકા છે. હવામાન ખરાબ થવાના કારણે પૂર્વી રાજ્યના પાંચ એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ્સને સ્થગિત કરી દેવામાં આવી છે. વળી, રેલવેએ ઓડિશા-બંગાળની તમામ ટ્રેનોને કેન્સલ કરી દીધી છે. આ ઉપરાંત બિહાર અને ઝારખંડની પણ કેટલીય ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. 


કયા-કયા એરપોર્ટ પર બંધ કરવામાં આવી.....
ભુવનેશ્વરના બીઝૂ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ઝારસુગુડા એરપોર્ટ પર મંગળવારે રાત્રે 11 વાગે બંધ કરી દીધુ છે, અને ગુરુવારે સવારે પાંચ વાગ્યા સુધી બંધ રહેશે. વાવાઝોડાના કારણે આજે દુર્ગાપુર અને રાઉરકેલા એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ્સ સ્થગિત રહેશે. વળી, કોલકત્તાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે સવારે 8:30 વાગ્યાથી સાંજે 7:45 સુધી ઉડાનોનુ સંચાલન નિરસ્ત રહેશે. 


ખતરાને જોતા સુરક્ષાનો તમામ ઇન્તજામ......
યાસ વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખતા પૂર્વીય તટથી બંગાળની ખાડીમાં જેટલા પણ ઓઇલ-રિગ છે તેમને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જે 70 મર્ચેન્ટ શિપ દરિયામાં હતા, તેમને પણ સુરક્ષિત સ્થાનો પર પહોંચાડી દેવામા આવ્યા છે. કૉસ્ટગાર્ડના ડેપ્યૂટી ડીજીએ એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યુ કે કોઇપણ પડકારને પહોંચી વળવા માટે કૉસ્ટગાર્ડના કુલ 20 જહાજો અને 3 એરક્રાફ્ટ આ સમયે બંગાળની ખાડીમાં તૈનાત છે. 


કૉસ્ટગાર્ડના ઓપરેશન્સ હેડના અનુસાર, 'યાસ' વાવાઝોડાનુ એલર્ટ મળતા જ 19 મેથી જ તમામ જહાજો, એરક્રાફ્ટ અને હેલિકૉપ્ટર્સને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા, જોકે 24 મેથી જ 'યાસ' વાવાઝોડાની શક્લ લીધી, અને તેનાથી પહેલા જ ઓડિશા, પશ્ચિમ બંગાળ અને અંડમાન નિકોબાર રાજ્યોમાં તમામ સુરક્ષા ઇન્તજામ કરી કરી દીધા હતા. આ ઉપરાંત એનડીઆરએફ, નૌસેના અને વાયુસેના પણ વાવાઝોડા માટે તૈયારીથી તૈનાત છે.