નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના સૈનિકોને ઠાર મારી બીએસફના સહાયક કમાન્ડેન્ટ વિનય પ્રસાદની શહીદીનો બદલો લીધો છે. ગુરુવારે સેનાએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ફાયરિંગની જવાબી કાર્યવાહી કરતા પાંચ પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા છે.


સેના એક અધિકારીએ જણાવ્યું કે સવારે 4.30 વાગ્યાની આસપાસ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં સરહદ પર ગોળીબાર શરું કરી દીધો હતો. આ અથડામણ 6.30 વાગ્યા સુધી ચાલી હતી. તે દરમિયાન ભારતીય સેનાની ચોકીઓને નિશાન બનાવી હતી. ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.

ભારતીય સેનાની આ કાર્યવાહીથી બીએસફ અધિકારી વિનય પ્રસાદની શહાદતનો બદલો માનવામાં આવી રહ્યો છે. ગત મંગળવારે ઘાટીના સાંબા સેક્ટરમાં થયેલી ફાયરિંગમાં બીએસએસ અધિકારી વિનય પ્રસાદ શહીદ થઈ ગયા હતા. સીમા સુરક્ષા બળનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કઠુઆ જિલ્લાના હીરાનગર-સાંબા સેક્ટરમાં આતંરરાષ્ટ્રીય સરહદ પાસે બીએસએફના આસિસ્ટેંટ કમાન્ડર વિજય પ્રસાદ કઠુઆ વિસ્તારની આંતરરાષ્ટ્રીય સરહદ પર દેખરેખ કરવા માટે ટીમ સાથે પહોંચ્યા હતા. ત્યારે સવારે 10 વાગ્યાની આસપાસ અચાનક પાકિસ્તાન રેંજર્સ સ્નાઇપરોએ ફાયરિંગ શરુ કરી દીધું હતું. ત્યારે BSFનાં આસિસ્ટન્ટ કમાન્ડર શહીદ થઈ ગયા હતા.