નવી દિલ્હી: આસામ અને બિહારમાં પૂરના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે અને આશરે 37 લાખ લોકો પ્રભાવિત થયા છે. આસામમાં પૂરના પ્રકોપના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા છે. આસામમાં 33 જિલ્લામાં 27 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. બારપેટા, કોકરાઝાર અને મોરિગાંવથી મોતના સમાચાર સામે આવ્યા છે.પૂર અને ભુસ્ખલનના કાણે રાજ્યમાં આ વર્ષે 122 લોકોના મોત થયા છે.


બિહારમાં આશરે 10 લાખ લોકો પૂરના કારણે પ્રભાવિત થયા છે. ગંડક નદીનો કાંઠા વિસ્તાર તૂટી જવાના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. પરંતુ કોઈના મોતના સમાચાર નથી મળ્યા. રાજ્ય આપદા પ્રબંધન વિભાગના જણાવ્યા અનુસાર 9.60 લાખ લોકો પ્રભાવિત થયા છે.
બિહારમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, સીતામઢી, શિવહર, સુપૌલ, કિશનગંજ,દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ અને ખગડિયા પૂરથી પ્રભાવિત છે.

અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ઘણા જિલ્લાઓ સંપર્ક વિહોણા થયા છે અને પૂરની સ્થિતિ ઉત્પન થઈ છે. વરસાની વચ્ચે ભૂસ્ખલનથી પશ્ચિમ સિયાંગ જિલ્લાનો સંપર્ક તૂટી ગયો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સાથે વાત કરી હતી. તેમણે રાષ્ટ્રપતિ ભવનથી આસામ, બિહાર અને ઉત્તરપ્રદેશના પૂર અને કોવિડ 19થી પ્રભાવિત લોકો માટે રેડ ક્રોસની રાહત સામગ્રી લઈને જઈ રહેલા નવ ટ્રકને રવાના કર્યા હતા.

હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં 26-28 જુલાઈ વચ્ચે અને પંજાબ તથા હરિયાણામાં 27-29 જુલાઈ વચ્ચે ભારે વરસદાની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું સોમવાર, મંગળવાર અને બુધવારે દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં વરસાદનું અનુમાન છે.