આ ભયાનક પુરથી આસામમાં 11 જિલ્લાઓમાં 321 ગામના 2 લાખ 72 હજાર લોકો પુરથી પ્રભાવિત થયા છે. જે સમયે દેશ કોરોના સામે ઝઝૂમી રહ્યો છે, તે સમયે આસામના લોકો પાણી સામે જીવ બચાવવા જંગ લડી રહ્યાં છે.
આસામના સોનિતપુર જિલ્લાની જિયા ભરાલી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, પુરનુ પાણી નિચાણવાળા વિસ્તારોમાં કેર વર્તાવી રહ્યું છે. આસામામાં કાર્બી આંગલોંગ જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીનુ પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયુ છે.
લોકો બચેલો સામાન એકઠો કરીને વાંસથી બનેલી નાવડીઓની મદદથી ગામમાંથી બહાર નીકળી રહ્યાં છે. ડિબ્રુગઢમાં પણ બ્રહ્મપુત્રએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. ઘરોમાં પાણી ભરાયા બાદ લોકો જીવ બચાવવા ગામો ખાલી કરી રહ્યાં છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, આ સમયે આસામમાં 33 જિલ્લાઓમાં 11 જિલ્લાઓ પુરથી પ્રભાવિત છે. આ જિલ્લા છે લખીમપુર, ધેમાજી, નગાંવ, બારપેટા, હોજઇ, દરંગ, નલબાડી, ડિબ્રુગઢ, ગોલપારા, પશ્ચિમ કાર્બી, આંગલોંગ અને તિનસુકિયા.