નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા બાબુલાલ ગૌરની તબિયત ફરીથી ખરાબ થઇ ગઇ છે. બુધવારે સાંજે તેમને ભોપાલની એક ખાનગી હોસ્પિટલમાં આઇસીયૂમાં ભરતી કરવામાં આવ્યા છે. બાબુલાલ ગૌરના ફેફસામાં ઇન્ફેક્શનની ફરિયાદને કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યાં પ્રારંભિક તપાસ બાદ તેમને નિમોનિયાના લક્ષણ હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારબાદ ડોક્ટરોએ તેમને આઇસીયૂમાં રાખવાનો નિર્ણય લીધો છે.


કહેવામાં આવી રહ્યું છે કે બાબુલાલ ગૌરને હાલમાં વેન્ટિલેટર રાખવામાં આવ્યા છે. અહી આગામી 48 કલાક સુધી રાખવામાં આવશે. બાબુલાલ ગૌરની તબિયત ખરાબ થયાની જાણકારી મળતા ભાજપના અનેક નેતા તેમને મળવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. હોસ્પિટલમાં ગૌરની પુત્રવધૂ અને ભોપાલની ગોવિંદપુરા વિધાનસભાથી ધારાસભ્ય કૃષ્ણા ગૌર પણ પહોંચી હતી.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કરી બાબુલાલ ગૌરના સારા સ્વાસ્થ્યની શુભકામના પાઠવી હતી. મુખ્યમંત્રી કમલનાથે ટ્વિટ કર્યુ હતું કે, પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌરના અસ્વસ્થ હોવાની જાણકારી મળી છે. તેમના  સ્વાસ્થ્યની જાણકારી લીધી. ઇશ્વર તેમને સ્વસ્થ કરે. આ શુભકામના છે. આ અગાઉ છેલ્લા મહિને બાબુલાલ ગૌરની તબિયત ખરાબ થઇ હતી. નોંધનીય છે કે બાબુલાલ ગૌર 23 ઓગસ્ટ 2004થી 29 નવેમ્બર 2005 સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા હતા. ત્યારબાદ શિવરાજસિંહ ચૌહાણ મુખ્યમંત્રી બન્યા હતા.