નવી દિલ્હી: દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું 84 વર્ષની ઉંમરે નિધન થયું છે. બ્રેન ક્લૉટ સર્જરી બાદ તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા. મુખર્જી કોરોના વાયરસથી સંક્રમિત પણ હતા. પૂર્વ રાષ્ટ્રપતિને 10 ઓગસ્ટે સર્જરી બાદ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.


પ્રણબ મુખર્જીની રાજકીય સફર

પ્રણબ મુખર્જી રાજકારણમાં પ્રણબ દા નામ તરીકે જાણીતા હતા. રાજકારણમાં તેમનો ખૂબ જ લાંબો અનુભવ રહ્યો છે. યૂપીએ સરકારમાં પ્રણબ મુખર્જી પાસે નાણા મંત્રાલય સિવાય ઘણી મુખ્ય જવાબદારીઓ હતી. તેમને કૉંગ્રેસના સંકટ મોચકની સંજ્ઞા આપવામાં આવી હતી. પ્રણબ મુખર્જીએ પોતાની રાજકીય કરીયરની શરૂઆત બાંગ્લા કૉંગ્રેસથી કરી હતી. જુલાઈ 1969માં તેઓ પ્રથમ વખત રાજ્યસભા માટે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ 1975, 1981, 1993 અને 1999માં રાજ્યસભાના સદસ્ય રહ્યા. આ સિવાય 1980થી 1985 સુધી રાજ્યમાં સદનના નેતા પણ રહ્યા. મે 2004માં ચૂંટણી જીતી લોકસભા પહોંચ્યા અને 2012 સુધી સદનના નેતા રહ્યા હતા.

1986 માં કૉંગ્રેસથી થયા હતા અલગ

એક સમય એવો પણ આવ્યો કે જ્યારે તેમણે કૉંગ્રેસ છોડી દિધી હતી. 1986માં પ્રણબ દા કૉંગ્રેસ છોડવા માટે મજબૂર થવું પડ્યું હતું. ઈન્દિરા ગાંધીના મોત બાદ રાજીવ ગાંધી પીએમ બન્યા. રાજીવના પીએમ બન્યા બાદ પ્રણબ મુખર્જીને પાર્ટીમાં સાઈડ લાઈન કરી દેવામાં આવ્યા હતા. તેઓ કેબિનેટમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. તેનાથી નારાજ થઈ અંતે પ્રણબ મુખર્જીએ 1986માં કૉંગ્રેસથી અલગ થવાનો નિર્ણય કર્યો અને રાષ્ટ્રીય સમાજવાદી કૉંગ્રેસ બનાવી હતી.

પ્રણબ મુખર્જીની પાર્ટી 1987માં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી લડી, પરંતુ તેમની પાર્ટીને પ્રથમ ચૂંટણીમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં પ્રણબ મુખર્જી 1988માં કૉંગ્રેસમાં બીજી વખત પરત ફર્યા હતા. મુખર્જીને કૉંગ્રેસમાં પરત આવતાની સાથે જ ઈનામ મળ્યું અને તેમને નરસિમ્હા રાવની સરકારમાં 1991માં યોજના આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

2004માં સોનિયા ગાંધીએ જ્યારે પીએમ બનવાનો ઈનકાર કર્યો હતો ત્યારે પ્રણબ મુખર્જીનું નામ પણ પ્રધાનમંત્રી પદના દાવેદારમાં સામેલ હતું. પ્રણબ મુખર્જીને મનમોહન સિંહની સરકારમાં રક્ષા મંત્રી, વિદેશ મંત્રી અને નાણા મંત્રી જેવા મુખ્ય પદ મળ્યા હતા. 2012માં પ્રણબ મુખર્જીને કૉંગ્રેસે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર જાહેર કર્યા અને તેઓ એનડીએ સમર્થિત પીએ સંગમાને હરાવી દેશના 13માં રાષ્ટ્રપતિ બન્યા હતા.