Manmohan Singh Health Update: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને તાવની ફરિયાદ બાદ એઇમ્સ દિલ્હીમાં ભરતી કરવામાં આવ્યા છે. એક સૂત્રએ કહ્યું હતું કે બે દિવસ અગાઉ તેઓને તાવ આવ્યો હતો અને આજે ડોક્ટરોની સલાહ પર તેઓને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યા છે અને ચિંતાની કોઇ વાત નથી.


મનમોહન સિંહને આ વર્ષે કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. તેઓ 19 એપ્રિલના રોજ કોરોના પોઝિટીવ થયા હતા ત્યારબાદ એઇમ્સમાં દાખલ કરાયા હતા. બાદમાં 29 એપ્રિલના રોજ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પૂર્વ વડાપ્રધાને ચાર માર્ચ અને ત્રણ એપ્રિલના રોજ કોરોનાની રસીના બંન્ને ડોઝ લીધા હતા.


88 વર્ષીય મનમોહન સિંહને સુગરની  બીમારી છે. તેઓની બે વખત બાયપાસ સર્જરી થઇ ચૂકી છે. તેમની પ્રથમ સર્જરી વર્ષ 1990માં યુકેમાં થઇ હતી. જ્યારે 2009માં એઇમ્સમાં બીજી બાયપાસ સર્જરી થઇ હતી. ગયા વર્ષે એક નવી દવાના કારણે રિએક્શન અને તાવ આવ્યા બાદ પણ મનમોહન સિંહને એઇમ્સમાં ભરતી કરાયા હતા. અનેક દિવસો બાદ તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.


કોગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહ હાલમાં રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે. સિંહ વર્ષ 2004થી 2014 સુધી વડાપ્રધાન રહ્યા હતા.


ગુજરાત સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે નિર્ણય લીધો


ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટમાં લેવાયા નિર્ણય મુદ્દે પત્રકારો સાથે વાત કરી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોરોનાના કારણે ભાગ ન લઈ શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને વયમર્યાદામાં એક વર્ષની છૂટ આપવામાં આવી છે. સરકારની સીધી ભરતીમાં એક વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે કોરોનાની સ્થિતિમાં અનેક પરીક્ષાઓ , ભરતી માટે તકલીફો એ ખાસ કરીને રાજ્યના યુવાનોએ વેઠી છે, સહન કરી છે. એમાંથી એમને બહાર કાઢવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાઇ રહી છે, એમાં એક વર્ષની છૂટછાટ આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. 


 


તેમણે કહ્યું હતું કે, એક વર્ષની ભરતીમાં, જે કોમ્પિટિવ એક્ઝામો છે, એના માટે કોરોનાને કારણે કેટલીક પરીક્ષાઓ કેન્સલ થઈ, ન લેવાણી તો કેટલાક યુવાનો એલિઝિબલ ન થતા હોય, એના કારણે એક્ઝામમાં બેસી ન શકે. એમના માટે એક વર્ષની વયમર્દામાં છૂટ આપવામાં આવી છે. 1-9-2021થી 31-8-2022 સુધી સરકારની સીધી ભરતીમાં આ નિયમ લાગુ પડશે. સ્નાતક અને સમકક્ષ ડિગ્રી ધરાવતા ઉમેદવારોની વય મર્યાદા 35 હતી, જે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે હવે 36 વર્ષની વયમર્યાદ રહેશે. સ્નાતકથી નીચેની લાયકાત કક્ષામાં બિન અનામત પુરુષની વય મર્યાદા 33 હતી, જે વધારીને 34 વર્ષ કરવામાં આવી છે. એસ.ટી., એસસી અને ઓબીસી અને આર્થિક રીતે નબળા કેટેગરીમાં પુરુષ ઉમેદવારો, આ કક્ષામાં સ્નાતક માટેની હાલની વય મર્યાદા 40 હતી, જેમાં એક વર્ષનો વધારો કરી 41 કરાઈ છે. આ કક્ષામાં સ્નાતકથી નીચેની કેટેગરી માટે વય મર્યાદા 38 હતી, જેમાં વધારો કરીને 39 કરવામાં આવી છે.