Bharat Jodo Yatra : કોંગ્રેસના પૂર્વ નેતા અને રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલના એક નિવેદનને લઈને રાજકીય ગલિયારાઓમાં હલચલ મચી જવા પામી છે. કોંગ્રેસથી ભારોભાર નારાજગીના કારણે પાર્ટીમાંથી રાજીનામું આપનારા કપિલ સિબ્બલ હવે ઘર વાપસી કરવા જઈ રહ્યાં છે કે કેમ તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. અચાનક જ રવિવારે 'ભારત જોડો યાત્રા'ની પ્રશંસા કરતા અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે.


કપિલ સિબ્બલે કહ્યું હતું કે, રાહુલ ગાંધી સમાજના વિવિધ વર્ગોને સાથે લાવવામાં સફળ રહ્યા છે. સિબ્બલે રાહુલ ગાંધીની પ્રશંસા કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ તમામ વર્ગોને અહેસાસ કરાવ્યો છે કે દેશમાં એકતા કેટલી મહત્વપૂર્ણ છે. ગયા વર્ષે કોંગ્રેસ છોડનાર સિબ્બલે કહ્યું હતું કે, કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પાર્ટીની યાત્રા સફળ નજરે પડી રહી છે. તેને બિનકોંગ્રેસી તત્વોનું સમર્થન પણ મળ્યું છે. વૈચારીક રીતે આ યાત્રા એક 'શાનદાર વિચાર' છે તેમ સિબ્બલે કહ્યું હતું.


સમાજના વિવિધ વર્ગોને સાથે લવાયા


કપિલ સિબ્બલે કહ્યું હતું કે, મને લાગે છે કે તે (રાહુલ) તેમની પદયાત્રા દરમિયાન સમાજના વિવિધ વર્ગોને એક સાથે લાવવામાં સફળ થયા છે. તેમને અહેસાસ કરાવ્યો કે આપણા દેશમાં એકતા સુનિશ્ચિત કરવી કેટલું જરૂરી છે. ઉપરાંત, આપણા દેશને આગળ વધવા માટે વિવિધતાનું સન્માન મહત્વનું છે. હા, 'ભારત જોડો યાત્રા' કંઈક એવી છે જેને બિરદાવવાની જરૂર છે, એમ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું. હવે જ્યાં સુધી તેની રાજકીય અસરોનો સંબંધ છે, મને લાગે છે કે લોકો આ મુલાકાત પાછળના ખ્યાલને ગૂંચવી રહ્યા છે. તેને સંપૂર્ણપણે રાજકીય કૃત્ય સાથે જોડવું જે મને રાજકીય નથી લાગતું તેમ સિબ્બલે કહ્યું હતું. 


ગયા વર્ષે પાર્ટીમાંથી આપ્યું હતું રાજીનામું 


સિબ્બલે કહ્યું હતું કે, યાત્રાનો હેતુ લોકોને એ બતાવવાનો છે કે બે વિચારધારાઓ છે જેમાંથી એકની પસંદગી કરવાની છે. 'એક વિચારધારા 'ભારત જોડો' અને બીજી વિચારધારાથી સંપૂર્ણપણે અલગ છે અને આપણે બધા જાણીએ છીએ કે તેનું પ્રતિનિધિત્વ કોણ કરી રહ્યું છે. સિબ્બલ ગ્રુપ-23ના નેતાઓના જૂથમાં પણ હતા જેમણે 2022માં સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસમાં મોટા પાયે સંગઠનાત્મક સુધારાની માંગ કરી હતી. તેમણે ગયા વર્ષે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને સમાજવાદી પાર્ટીના સમર્થનથી ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા માટે ફરીથી ચૂંટાયા હતા. તેઓ કોંગ્રેસની બાબતો પર ટિપ્પણી કરવાનું ટાળી રહ્યા છે.


અત્યાર સુધીની સફળ યાત્રા


આ યાત્રા સફળ રહી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા સિબ્બલે કહ્યું હતું કે, વૈચારિક રીતે ચોક્કસપણે, અને હું જનતામાં, બિન-કોંગ્રેસી તત્વોમાં સમર્થન જોઈ રહ્યો છું, હું કહેવા માંગીશ કે, દૃષ્ટિગત રીતે તે સફળ જણાય છે. વિપક્ષી એકતા અંગે વાત કરતા સિબ્બલે કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી બહુ દૂર નથી અને વિપક્ષી નેતાઓએ એકસાથે આવવાની જરૂર છે. તે કેવી રીતે થશે તેના પર હું ટિપ્પણી ના કરી શકું. મને લાગે છે કે આજે આપણને વિવિધ રાજકીય પક્ષો વચ્ચેના રાજકીય જોડાણ સિવાય જન આંદોલનની જરૂર છે. શું તેઓ 'ભારત જોડો યાત્રા'માં ભાગ લેશે તે અંગે પૂછવામાં આવતા સિબ્બલે કહ્યું હતું કે, હું અદાલતોમાં એક પ્રકારની યાત્રાને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યો છું.