જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના લસ્સીપોરામાં સોમવાર વહેલી પરોઢે આતંકવાદીઓ અને સુરક્ષા દળોની વચ્ચે ફાયરિંગ થયું હતું. જેમાં લશ્કર-એ-તૈયબાના ચાર આતંકવાદી ઠાર માર્યા છે. હાલ સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે, હજુ વિસ્તારમાં ત્રણ આતંકવાદી છુપાયા હોવાની શક્યતા છે.




સૂત્રો પ્રમાણે, દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના લસ્સીપોરા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળોની વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સીઆરપીએફની 44 આરઆર બટાલિયન, સેના અને એસઓજીએ આતંકવાદીઓ વિરૂદ્ધ સંયુક્ત અભિયાન શરૂ કર્યું છે. સંયુક્ત અભિયાન હેઠળ વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.



મળતા અહેવાલો મુજબ, પુલવામાના લસ્સીપોરામાં આતંકવાદીઓ છુપાયા હોવાની પાકી માહિતી મળ્યાં બાદ સુરક્ષા દળોએ આ અભિયાન શરૂ કર્યું હતું. છુપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તેની સામે સુરક્ષા દળોએ વળતી કાર્યવાહી કરી હતી. સૂત્રોનું કહેવું છે કે વિસ્તારમાં હજુ બેથી ત્રણ આતંકવાદી છુપાયા હોવાની શક્યતા છે.