નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મેટ્રોમાં મહિલાઓ માટે મફતમાં મુસાફરી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે જોકે તેના પર હજુ સુધી કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ તેને લઇને સવાલ ઉઠી રહ્યા છે.  કેજરીવાલ સરકારે આ પ્રસ્તાવ પર સૌથી વધુ ચિંતા મેટ્રોને થનારા આર્થિક નુકસાનને લઇને છે જેને લઇને હવે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને સવાલ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો આ પ્રસ્તાવ લાગુ થશે તો મેટ્રોને ભારે નુકસાન થશે અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન નફાકારક રહેશે નહીં. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી દિલ્હી મેટ્રોના ફેઝ-4ના નિર્માણને લઇને એક સમીક્ષા દરમિયાન આવી જેમાં કોર્ટે સ્પષ્ટતા કરતા કહ્યું કે, જો મહિલાઓને મેટ્રોમાં  મફતમાં મુસાફરી કરાવવામાં આવશે તો તેનાથી ડીએમઆરસીને ભારે નુકસાન થશે અને મેઇન્ટેનન્સ અને અન્ય સુવિધાઓ પ્રભાવિત થશે.

કોર્ટે કહ્યું કે, જેનાથી ડીએમઆરસીને અંદાજીત 1500 કરોડ રૂપિયાનુ વાર્ષિક નુકસાન થશે અને સંભવ છે કે આ નફાકારક ના રહે. જસ્ટિસ અરુણ મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે દિલ્હીની આપ સરકારને કહ્યું કે, તે જનતાના પૈસાનો યોગ્ય ઉપયોગ કરે અને લોકોને મફતમાં સેવા આપવાથી બચે. નોંધનીય છે કે આપ સરકારના આ પ્રસ્તાવને લઇને દિલ્હી મેટ્રો અને કેન્દ્ર સરકાર પુરી રીતે સહમત નથી. દિલ્હી મેટ્રોએ તેના પર જૂલાઇમાં આપ સરકારને એક રિપોર્ટ મોકલી હતી જેમાં ભાડા નક્કી કરનારી સમિતિ તરફથી મંજૂરી સહિત અન્ય આવશ્યક તૈયારીઓ માટે ઓછામાં ઓછા 8 મહિનાનો સમય માંગ્યો હતો.