ભાગેડુ વિજય માલ્યાને ભારત લાવવામાં આવશે, બ્રિટનથી પ્રત્યાર્પણની પ્રક્રિયા પૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Jun 2020 10:29 PM (IST)
દેશની 17 બેન્કોના 9000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યા વર્ષ 2016ની 2 માર્ચે ભારત છોડીને વિદેશ ભાગી ગયો હતો.
નવી દિલ્હી: ભાગેડુ વિજય માલ્યાને ભારત પરત લાવવામાં આવી શકે છે. સમાચાર એજન્સી આઈએનએનસ અનુસાર, બ્રિટનમાં તેમની તમામ પ્રત્યાર્પણની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને તેને ભારત લાવવામાં આવશે. જો કે, તપાસ એજન્સીએ માલ્યાને ભારત લાવવા અંગે કોઈ સત્તાવાર પુષ્ટી હાલમાં કરી નથી. દેશની 17 બેન્કોના 9000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યા વર્ષ 2016ની 2 માર્ચે ભારત છોડીને વિદેશ ભાગી ગયો હતો. છેલ્લા કેટલાક વર્ષથી માલ્યા બ્રિટનમાં જ હતો અને તેમની વિરુદ્ધ પ્રત્યાર્પણની કાર્યવાહીને લઈ ભારતની તપાસ એજન્સી કામ કરી રહી હતી. ભારતની એજન્સીઓએ બ્રિટનની કોર્ટ સામે માલ્યાના પ્રત્યાર્પણ માટે મોટી લડાઈ લડી છે. ઉલ્લેખનીય છે કે, બ્રિટનની કોર્ટે વિજય માલ્યાની એ અરજીને ફગાવી દીધી હતી જેમાં તેમણે ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધ ગુહાર લગાવી હતી. બ્રિટનની કોર્ટે ગત 14 મેના રોજ માલ્યાના પ્રત્યાર્પણ પર મહોર મારી હતી. માલ્યાની અરજી રિજેક્ટ થયા બાદ હવે તેને હવે ભારત પરત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. વિજય માલ્યાને મુંબઈની ઓર્થર રોડ જેલમાં રાખવામાં આવી શકે છે કારણ કે બ્રિટેનની કોર્ટેને આ કોર્ટ વિશે જાણકારી આપવામાં આવી હતી, અહીં વિજય માલ્યાને રાખવા માટે તમામ વ્યવસ્થા છે.