કેબિનેટના નિર્ણય પર PM મોદીએ કહ્યું- હવે અન્નદાતા દેશમાં ગમે ત્યાં પોતાનું ઉત્પાદન વેચવા માટે સ્વતંત્ર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Jun 2020 09:43 PM (IST)
પીએમ મોદીએ કહ્યું કે, સરકારના આ નિર્ણયોથી અન્નદાતાઓની ન માત્ર આવક વધશે, પરંતુ આવશ્યક વસ્તુ અધિનિયમમાં સંશોધનથી કૃષિ ક્ષેત્રમાં પણ પરિવર્તન આવશે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે, કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આજે લેવામાં આવેલા નિર્ણયથી ખેડૂતોની દાયકોઓ જૂની માંગ પૂરી થઈ છે. હવે અન્નદાતા દેશમાં ગમે ત્યાં પોતાનું ઉત્પાદન વેચી શકશે અને એક દેશ, એક કૃષિ માર્કેટનું સપનું સાકાર થશે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, “મંત્રીમંડળની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. પાકની ખરીદી અને વેચાણ પરના તમામ પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા છે, જેનાથી ખેડૂતોની દાયકાઓની માંગ પૂરી થઈ છે. હવે અન્નાદાતા દેશમાં ક્યાંય પણ પોતાનું ઉત્પાદન વેચવા માટે સ્વતંત્ર રહેશે.” આ ઉપરાંત તેઓએ કહ્યું કે, સરકારના નિર્ણયથી ખેડૂતોના ઉત્પાદન પહેલા જ ભાવોના આશ્વાસનની પણ ગેરન્ટની મળશે. કૃષિ સેવાઓ માટેના કરારથી ન માત્ર ખેડૂતોને અત્યાધુનિક માહિતી મળશે, પરંતુ તેમને તકનીકી અને નાણાંની સહાયતા પણ મળશે. તેના દ્વારા અન્નદાતાઓનું સશક્તિકરણ અને સંરક્ષણ પણ સંભવ બનશે. પીએમ મોદીએ કહ્યું કે, સરકારના આ નિર્ણયોથી અન્નદાતાઓની ન માત્ર આવક વધશે, પરંતુ આવશ્યક વસ્તુ અધિનિયમમાં સંશોધનથી કૃષિ ક્ષેત્રમાં પણ પરિવર્તન આવશે. આજે એક મંત્રીમંડળમાં 'વન નેશન વન માર્કેટ' અંગે વટહુકમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીમંડળે આવશ્યક વસ્તુ અધિનિયમમાં ઐતિહાસિક સંશોધનને મંજૂરી આપી દીધી છે. જે કૃષિ ક્ષેત્રમાં મોટો ફેરફાર અને ખેડૂતોની આવક વધારવાની દિશામાં એક દૂરંદેશી પગલું છે.