પણજી:  ગોવામાં ઓક્સિજનની અછતના કારણે ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (GMCH)માં  વધુ 13 દર્દીઓના મૃત્યુ થયા છે. તેની સાથે છેલ્લા 4 દિવસમાં 75 દર્દીઓના મૃત્યુ થયા છે. આ મામલાની તપાસ માટે ગોવા સરકારે ત્રણ સભ્યની ટીમ બનાવી છે. 


આ ઘટના બાદ ગોવા ફોરવર્ડ પાર્ટીએ રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત (Goa CM) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગોવા ફોરવર્ડ પાર્ટીના નેતા વિજય સરદેસાઈએ આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી વચ્ચે તકરારના કારણે લોકોના મૃત્યુ થયા છે. જ્યારે કૉંગ્રેસ આ સમગ્ર ઘટનાને ધોળા દિવસે કરવામાં આવેલી હત્યા ગણાવી.


રાજ્ય સરકારે જીએમસીએચ (goa medical college and hospital)માં હાલમાં થયેલા મૃત્યુ અંગે સાચા કારણો વિશે જણાવ્યું નથી પરંતુ હાઈકોર્ટને સૂચિત કરવામાં આવ્યું છું કે, દર્દીઓનું તબીબી ઓક્સિજનના સપ્લાયના પરિવહન સંબધીત કેટલા મુદ્દા છે. વરિષ્ઠ અધિકારીએ પુષ્ટી કરી છે કે, જીએમસીએચના અલગ અલગ કોવિડ-19 વોર્ડમાં શુક્રવારે સવારે દાખલ કરાયેલા વધુ 13 દર્દીઓના મોત થયા હતા. 


છેલ્લા ચાર દિવસમાં હોસ્પિટલમાં રાત્રે બે વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી મરનારા દર્દીઓની સંખ્યા 75 થઈ ગઈ છે. સત્તાવાર આંકડા અનુસાર મંગળવારે 26 દર્દી, બુધવારે 21, ગુરુવારે 15 અને શુક્રવારે 13 દર્દીઓના મોત થયા છે. 


હોસ્પિટલમાં દર્દીઓના મોત અંગે ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રમુખ વિજય સરદેસાઇએ કહ્યું હતું કે, શાસન વ્યવસ્થા કથડી ગઈ હોવાથી હાઈકોર્ટે રાજ્યનો હાથ પોતાના હાથમાં લેવો જોઈએ.


ગોવા કોંગ્રેસના વડા ગિરીશ ચોડનકરે કહ્યું કે, જો રાજ્યના આરોગ્યમંત્રી કેમેરા પર કબૂલાત કરે છે કે તેઓ જાણતા હતા કે દરરોજ રાતે 2 થી 6 વાગ્યા દરમિયાન દર્દીઓ મૃત્યુ પામે છે અને ગોવામાં દરરોજ 200 થી 300 જેટલો મૃત્યુઆંક હશે, તો તેમણે શા માટે તેમના પર કાર્યવાહી નથી કરી ?  મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીએ શું કાર્યવાહી કરી? તેની સાથે તેમણે કહ્યું હતું કે, અમે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરીશું અને જરૂર પડે તો બંને દ્વારા માર્યા ગયેલા નિર્દોષ લોકોને ન્યાય અપાવવા કોર્ટમાં જઈશું.