નવી દિલ્હી:  કોરોના મહામારીને એક અદ્રશ્ય દુશ્મન ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શુક્રવારે કહ્યું કે, મહામારીની બીજી લહેર (Corona Second wave) સામે સરકાર યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, દેશ આ લડાઈમાં જીત મેળવશે. 



પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ( PM Kisaan) અંતર્ગત આર્થિક લાભના 8મો હપ્તો જાહેર કર્યા બાદ વીડિયો  કોન્ફરન્સથી આયોજીત એક કાર્યક્રમને સંબોધન કરી રહેલા વડાપ્રધાન મોદીએ  રસીકરણને કોરોના વિરુદ્ધી લડાઈમાં એક મોટું માધ્યમ ગણાવતા કહ્યું કે, દેશભરમાં રસીના 18 કરોડથી વધુ ડોઝ લોકોને આપવામા આવી ચૂક્યા છે. 


9.5 કરોડ ખેડૂતોને મળ્યો આર્થિક લાભ  


પીએમ મોદીએ કહ્યું કે, કિસાન સન્માન નિધિ અંતર્ગત 9.5 કરોડ ખેડૂતોને રૂપિયા 19,000 કરોડનો નાણાકીય લાભ સીધો તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. બંગાળના ખેડુતોને પહેલીવાર આ લાભ મળી રહ્યો છે. યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1.35 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવ્યા છે. કોરોના સમયગાળા દરમિયાન 60 હજાર કરોડ રૂપિયા ખેડૂતોને વહેંચવામાં આવ્યા હતા.


વડાપ્રધાને કહ્યું કે, "100 વર્ષ બાદ આવી ભયંકર મહામારી ડગલેને પગલે દુનિયાની કસોટી લઈ રહી છે. આપણી સામે એક ખૂબ અદૃશ્ય દુશ્મન છે અને આ દુશ્મન પણ બહુરૂપિયો છે. જેના કારણે આપણે આપણા નજીકના અનેક લોકોને ગુમાવી દીધા છે. તેમણે કહ્યું, " દેશવાસીઓએ કેટલાક સમયથી જે પીડા સહન કરી છે અને તેઓ જે વેદનામાંથી પસાર થયા છે તે હું પણ અનુભૂતિ કરી રહ્યો છું. "



પીએમ મોદીએ કહ્યું કે, આજે દેશમાં જરૂરી દવાઓની આપૂર્તિ માટે યુદ્ધ સ્તરે કામ કરવામાં આવી રહ્યું છે. દેશના અલગ અલગ ભાગમાં ઝડપથી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે અને ત્રણેય સેના પણ કોવિડ વિરુદ્ધ જંગમાં સતત સક્રિયતાથી પોતાની ભૂમિકા ભજવી રહી છે. 



વડા પ્રધાને કહ્યું કે, આ સંકટના સમયે દવા અને જરૂરી વસ્તુઓની જમાખોરી અને કાળા બજારીમાં પણ કેટલાક લોકો પોતાના નિહિત સ્વાર્થ માટે લાગેલા છે.  તેને માનવા વિરુદ્ધ ગણાવતા  પીએમ મોદીએ રાજ્યો સરકારને આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કહ્યું છે.