નવી દિલ્હીઃ દેશભરમાં ડુંગળીના વધતા ભાવ લોકોને રડાવી રહ્યા છે. ડુંગળીના ભાવમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. ડુંગળીના સતત વધતી કિંમતો પર કાબૂ મેળવવા માટે સરકારે ડુંગળીના નિકાસ પર તત્કાળ પ્રભાવથી પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે રવિવારે જાણકારી આપતા કહ્યુ કે ડુંગળીના વધતા ભાવને જોતા સરકારે તેના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ડુંગળી સતત સામાન્ય જનતાની ખરીદ ક્ષમતાથી દૂર થઇ રહી છે. સરકાર સતત જનતાને રાહત પહોંચાડવાના પગલા ભરી રહી છે. શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે જાહેરાત કરી હતી કે શનિવારે શહેરમાં મોબાઇલ વાન અને રાશન દુકાનો મારફતે ડુંગળીનું વેચાણ 23.90 રૂપિયા પ્રતિ કિલોના દર પર આપવામાં આવશે. કેજરીવાલે કહ્યુ હતું કે, આખા દેશમાં રિટેલ બજારમાં ડુંગળીની કિંમત 60થી 80 રૂપિયા કિલો છે. એક વ્યક્તિ પાંચ કિલો ડુંગળી ખરીદી શકે છે. આ કિંમત આગામી પાંચ દિવસો માટે છે. તેમણે કહ્યું કે, જમાખોરી અને કાળા બજારી વિરુદ્ધ કડક કાર્યવાહી હશે.


મોદી સરકારે રાજ્યોને ડુંગળીની પુરતો પુરવઠાનું આશ્વાસન આપ્યું છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે જો તેઓ કોઇ પણ પ્રકારની અછતનો સામનો કરી રહ્યા હોય તો પોતાની જરૂરિયાતોની જાણકારી કેન્દ્ર સરકારને આપે. ગ્રાહક મામલાના મંત્રી રામવિલાસ પાસવાને ટ્વિટ કરી કહ્યુ કે, કોઇ પણ માત્રાની માંગને તરત પુરી કરી દેવામાં આવશે.