નવી દિલ્હી:  સરકાર દેશની સુરક્ષાની સ્થિતિ પર પૂર્વ રક્ષામંત્રીઓને બ્રીફ કર્યા બાદ એકવાર ફરી વિપક્ષને સંતુષ્ટ કરાવવાના પ્રયાસમાં લાગી છે. હવે સરકાર કોરોનાના મોર્ચા પર વિપક્ષના સવાલોના જવાબ આપશે. તે માટે સંસદના સત્રની બહાર વિપક્ષની બધી પાર્ટીઓના સંસદીય દળના નેતાઓની સામે એક પ્રેઝન્ટેશન આપશે. આ તકે સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારી પ્રધાનમંત્રીની હાજરીમાં પ્રેઝન્ટેશન આપશે. 


વિપક્ષની સાથે આ બેઠક મંગળવારે સાંજે છ કલાકે થશે. બેઠક સંસદની પાર્લામેન્ટ્રી એનેક્સી બિલ્ડિંગમાં થશે. આ બેઠકમાં રાજ્યસભા અને લોકસભાના બધા ફ્લોર લીડર્સ એટલે કે વિપક્ષની તમામ પાર્ટીઓના સંસદીય દળના નેતા સામેલ થશે. પરંતુ સરકારમાં સામેલ એનડીએના નેતાઓને પણ આ બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. સરકાર કોરોનાની વર્તમાન સ્થિતિ અને તેની શરૂઆતથી લઈને, પ્રથમ અને બીજી લહેર તથા સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓને લઈને પણ તસવીર તમામ નેતાઓ સામે રાખશે. 


કોરોના પર પ્રેઝન્ટેશન સમયે સરકાર તરફથી પ્રધાનમંત્રી મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનુસખ માંડવિયા અને વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ હાજર રહેશે. સરકાર આ વખતે નવા અવતારમાં જોવા મળી રહી છે. દેશની અંદરના અને બહારના મુદ્દા પર વિપક્ષ અને તમામ દળોને સાથે લાવવા અને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. 


ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતાં પહેલા 16 જુલાઈએ રક્ષામંત્રી રાજનાથ સિંહે પૂર્વ રક્ષા મંત્રીઓ એકે એન્ટની અને શરદ પવારની સાથે બેઠક કરી હતી. સૂત્રો પ્રમાણે બંને પૂર્વ મંત્રીઓને સરહદની સ્થિતિને લઈ કેટલીક આશંકાઓ અને સવાલ હતા. તેથી સરકારે બંનેને જાણકારી આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ પરંપરા પણ રહી છે કે વિપક્ષને સરકાર દેશની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દા પર વિશ્વાસમાં લેતી રહે છે. રક્ષામંત્રીની હાજરીમાં તેમની આશંકાઓને સેના પ્રમુખ નરવણે અને સીડીએસ જનરલ બિપિન રાવતે દૂર કરી હતી.