નવી દિલ્હીઃ સરકારી, સાર્વજનિક ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનીકંપનીઓ અને વાર્ષિક છ લાખ રૂપિયાની આવક ધરાવતા લોકો ટૂંકમાં જ એલપીજી સબસિડી મેળવતા લોકોની યાદીમાંથી બહાર થઈ જશે. જરૂરિયાતમંદ લોકો સુધી લાભ પહોંચાડવા માટે સરકાર સમૃદ્ધ લોકોને એલપીજી સબસિડીના દાયરામાંથી બહાર કરવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી સરાકરે દસ લાખ અથવા તેનાથી વધારે વાર્ષિક આવક ધરાવતા લોકોને સ્વેચ્છાએ સબસિડી છોડવાની અપીલ કરી હતી.


પેટ્રોલિયમ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાનુસાર, સરકાર સમૃદ્ધ લોકોને એલપીજી સબસિડીના દાયરામાંથી બહાર કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કરીચૂકી છે. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રસાદ ખુદ સંસદની અંદર સ્વેચ્છાએ સબસિડી છોડવાની અપીલ કરીચૂક્યા છે. પરંતુ આજે પણ મોટી સંખ્યામાં આર્થિક અને સમૃદ્ધ પરિવાર સબસિડીનો લાભ લઈ રહ્યા છે. સરકાર ટૂંકમાં જ લોકોને સબસિડીની દાયરામાંથી બહાર કરશે.

મંત્રાલયનું કહેવું છે કે, દેશમાં હાલમાં અંદાજે 17 કરોડ એલપીજી ઉપભોક્તા છે. તેમાંથી 16 કરોડથી વધારે લોકો સબસિડીનો લાભ લઈ રહ્યા છે. જ્યારે સબસિડી અને સબસિડી વગરના સિલિન્ડર વચ્ચેનો તફાવત 50 રૂપિયાથી પણ ઓછો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતને ધ્યાનમાં રાખતા આવતા કેટલાક મહિના સુધી કિંમતમાં વધારે ઉછાળો આવે એવું લાગતું નથી. એવામાં પચાસ હજાર રૂપિયા મહિને કમાતી વ્યક્તિ 50 રૂપિયા વધારે ચૂકવી શકે છે.

દેશમાં 17.52 કરોડ એલપીજી કનેક્શન છે. તેમાંથી 16.09 કરોડ ઉપભોક્તા એલપીજી સબસિડી લે છે. સરકારે પહલ યોજના (ડીબીટીએલ) અંતર્ગત અત્યાર સુધી 41 હજાર 57 કરોડ રૂપિયાની સબસિડી આપી છે. દિલ્હીમાં સબસિડીની કિંમત 425 રૂપિયા અને સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 466 રૂપિયા છે.