Farmers Protests: FIR નોંધાયા બાદ ગ્રેટા થનબર્ગે ટ્વીટ કરીને શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Feb 2021 06:13 PM (IST)
પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને લઈ ટ્વિટ કરનારી પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ વિરુદ્ધ દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી છે. થનબર્ગ પર આરોપ છે કે, તેણે ખેડૂત આંદોલનને લઈ ભડકાઉ ટ્વિટ કર્યા હતા.
નવી દિલ્હી: ખેડૂત આંદોલન પર ટ્વિટ કરવા પર દિલ્હી પોલીસે પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. તેના બાદ ગ્રેટાની પ્રતિક્રિયા સામે આવી છે. ગ્રેટાએ ટ્વીટ કરીને કહ્યું કે, “હું હજુ પણ ખેડૂતોની સાથે છું અને તેના શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું સમર્થન કરું છું. નફરત, ધમકી કે માનવાધિકારોના ઉલ્લંઘનના કોઈ પણ પ્રયાસથી આ નહીં બદલાય.” સ્વીડનની પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે એક અહેવાલની લિંક શેર કરીને કહ્યું હતું કે, “અમે ભારતમાં ખેડૂતોના આંદોલન પ્રતિ એકજૂથ છે.” સાથે તેણે કહ્યું હતું કે, જે લોકોને મદદની જરૂર છે તેના માટે ટુલકિટ (સોફ્ટવેર) શેર કરવામાં આવ્યું છે. જો કે, બાદમાં તેણે ટૂલકિટવાળા ટ્વીટને ડિલીટ કરી દીધું હતું અને એક અન્ય ટૂલકિટ જાહેર કર્યું છે. ડિલીટ કરવામાં આવેલા ટૂલકિટને લઈ વિવાદ છે. આ ટૂલકિટ દ્વારા ગ્રેટા થનબર્ગ એ સમજાવી રહી છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેવી રીતે ખેડૂત આંદોલનને દુનિયાના ખૂણે ખૂણામાંથી સમર્થન મેળવવાનું છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે હોલિવૂડની પોપ સિંગર રિહાના બાદ પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ સહિત અનેક વૈશ્વિક હસ્તીઓએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કર્યા હતા. તેના પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી અને આ મુદ્દે કમેન્ટ કરતા પહેલા પૂરતી જાણકારી મેળવવા કહ્યું હતું. વિદેશી હસ્તીઓના ટ્વિટ બાદ ભારતનું કહેવું છે કે, આ દેશ વિરોધી પ્રોપગેન્ડા છે. બુધવારે વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ભારતને નિશાન બનાવનાર પ્રેરિત અભિયાન ક્યારેય સફળ નહીં થાય. આ ટ્વીટ સાથે તેમણે હેશટેગ ‘ઈન્ડિયા ટૂગેધર’, ઈન્ડિયા અગેઈન્સ્ટપ્રોપગેન્ડા નો ઉપયોગ કર્યો હતો.