નવી દિલ્હીઃ આગામી સપ્તાહમાં  મળનારી  જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે મંદીમાં સરકાર આવક વધારવા માટે આવું કરી શકે છે. 18 ડિસેમ્બરના રોજ નાણા મંત્રી નિર્મલા  સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની  બેઠક મળનારી છે. આ વર્ષે જીએસટી કલેક્શનમાં ઘટાડો નોંધાયો છે. તે સિવાય ઓછા ટેક્સ કલેક્શનના કારણે હવે કેન્દ્ર સરકારને દર મહિને લગભગ 13,750 કરોડ રૂપિયા  રાજયોને વળતરના રૂપમાં આપવા પડી રહ્યા છે.


વર્તમાનમાં જીએસટીના ચાર સ્લેબ છે. પાંચ ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા. 28 ટકા ટેક્સ સ્લેબમાં આવનારી વસ્તુઓ પર સેસ પણ લગાવવામાં  આવે છે જે એકથી 25 ટકા વચ્ચે હોઇ શકે છે. મંગળવારે કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. સૂત્રોના મતે પાંચ ટકાના સ્લેબને વધારીને 8 ટકા કરવામાં આવી શકે છે. સાથે 12 ટકાના સ્લેબને વધારીને 15 ટકા કરવામાં આવવા પર ચર્ચા થઇ હતી. તે સિવાય જે વસ્તુઓ પર જીએસટી લાગતો નથી તેને પણ ટેક્સના દાયરામાં લાવવામાં આવી શકે છે. સરકારી આંકડાઓ અનુસાર, એપ્રિલ-નવેમ્બર વચ્ચે બજેટમાં કરવામાં આવેલા અંદાજથી 40 ટકા ઓછો સેન્ટ્રલ જીએસટી કલેક્શન થયું છે. એપ્રિલથી નવેમ્બર વચ્ચે સેન્ટ્રલ જીએસટી કલેક્શન 3,28,365 કરોડ રહ્યુ જ્યારે બજેટમાં 5,26,000 કરોડનો અંદાજ લગાવવામાં આવ્યો હતો.