નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કહેરને ધ્યાનમાં રાખી લોકડાઉન 3 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. આજે સરકારે લોકડાઉનને લઈ દિશાનિર્દેશ જાહેર કર્યા છે. સરકારે આદેશમાં કહ્યું છે કે, હવે ચહેરો ઢાંકવો ફરજિયાત હશે.


સરકારે કહ્યું છે કે લોકડાઉનમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે સડક પર થૂંકવા પર પણ દંડ વસૂલ કરાશે. ક્વોરન્ટાઈનના ઉલ્લંઘન બદલ IPC 188નો કેસ દાખલ થશે. ફોર વ્હીલરમાં ડ્રાઇવર ઉપરાંત એક વ્યક્તિને બેસવાની મંજૂરી રહેશે, જ્યારે ટૂ વ્હીલર પર માત્ર એક જ વ્યક્તિ જઈ શકશે.

મંગળવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાને દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે હવે પહેલાં કરતાં પણ વધારે સતર્કતા રાખવાની છે. જે જિલ્લામાં કોરોના વાયરસના કેસ ઘટશે અથવા સંપૂર્ણ બંધ થશે ત્યાં 20 એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે. પરંતુ જો ત્યાં ફરી કોઈ કોરોનાનો કેસ સામે આવશે તો ત્યાંથી શરતો દ્વારા આપવામાં આવેલી છૂટ પણ પરત લેવામાં આવશે.

દેશમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે દેશમાં હાલ આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા 11 હજારને પાર કરી ગઈ છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 11,439 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે 377 લોકોના મોત થયા છે. ઉપરાંત 1306 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.