Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને લઈ હવે 10 દિવસ જ બાકી રહ્યા છે. ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રે પડોશી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાત કરી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, મહારાષ્ટ્ર સરકારે રાજ્યના સરહદી જિલ્લાઓમાં કામ કરતા ગુજરાત વિધાનસભાના મતદારો માટે એક દિવસની રજાની મંજૂરી આપતો GR જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રના સરહદી જિલ્લાઓ જેમ કે પાલઘર, નાસિક, નંદુરબાર અને ધુલેની કંપનીઓને કર્મચારીઓને એક દિવસની રજા આપવી પડશે. સાથે જ તમામ ખાનગી કંપનીઓને તેનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. જો હુકમનો ભંગ થશે તો કાર્યવાહી કરવામાં આવશે.




ગુજરાત વિધાનસભામાં મહત્તમ મતદાન થાય તે માટે મતદારોને સુરત અને સૌરાષ્ટ્રમાંથી તેમના વતનમાં લઇ જવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા 600થી વધુ ખાનગી લક્ઝરી બસોને અત્યારથી જ બુક કરાવીને તમામ મતદારાની યાદી પણ તૈયાર કરી દીધી છે.  પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્માં થનારા મતદાનના  દિવસે તમામને મતદાન બાદ પરત લાવવા માટે પણ રાજકીય પાર્ટીઓએ આયોજન કર્યું છે. સુરત અને અમદાવાદમાં રહેતા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સૌરાષ્ટ્રના લોકો હજારોની સંખ્યામાં રહે છે. જેમનું મતદાન યાદીમાં નામ તેમના વતનમાં છે. સુરતના વરાછા, યોગી ચોક અને અન્ય વિસ્તારોમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં  હજારોની સખ્યામાં હીરા ઉદ્યોગ સાથે રહેલા કારીગરો રહે છે. જેમનું મતદાર તરીકેનું નામ આજે પણ તેમના વતનમાં છે. ત્યારે તેમના દ્વારા મતદાન ન થાય તો મતદાન પર અસર થઇ શકે છે.  સાથેસાથે રાજકીય પાર્ટીઓને પણ નુકશાન થઇ શકે તેમ છે. જેથી રાજકીય પાર્ટીઓએ સુરત અને અમદાવાદના નરોડા, બાપુનગરથી 600થી વધુ બસોને આગામી 30મી નવેમ્બરથી ૨જી ડિસેમ્બર સુધી બુક કરવામાં આવી છે. જેમાં ૩૦મી તારીખે સાંજ સુધીમાં બસોમાં સૌરાષ્ટ્રના  વિવિઘ ગામડાઓમાં લઇ જવામાં આવશે. બાદમાં બીજા દિવસે મતદાન કરાવીને તે દિવસે અથવા બીજી ડિસેમ્બરે સુરત અને અમદાવાદ પરત લાવવામાં આવશે. એટલું જ નહી મતદારોને સૌરાષ્ટ્રમાં આવવા બદલે દિવસ પ્રમાણે એક થી બે હજારની રોકડ પણ આપવા માટેનું કહેવામાં આવ્યું છે. આમ, રાજકીય પાર્ટીઓ તેમના મતદારોના મતને મેળવવા માટે અત્યારથી જ  માઇક્રો પ્લાનીંગ કરી ચુકી છે.