ચંદીગઢ: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ત્રિશંકુ પરિણામ બાદ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને જેજેપીએ ગઠબંધન સરકાર બનાવવાની જાહેરાત કરી દીધી છે. તેના બાદ બીએસએફમાંથી બરતરફ કરાયેલા જવાન તેજ બહાદુર યાદવે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી(જેજેપી)ને છોડી દીધી છે. શનિવારે તેજ બહાદુરે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે દુષ્યંત ચૌટાલાએ ભાજપ સાથે હાથ મિલાવીને વિશ્વાસઘાત કર્યો છે.


તેજ બહાદુરે કહ્યું કે, મે ભાજપ વિરુદ્ધ જજપામાં જોડાયા હતા અને દુષ્યંતે તેમની સાથે જ હાથ મિલાવી લીધાં. આ ખરેખર ખોટું થયું છે. દેવી લાલના વિચારો પર જનતાએ જજપાને મત આપ્યા હતા, પરંતુ દુષ્યંતે ભાજપને સમર્થન આપીને પ્રદેશની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. ઉલ્લેખનીય છે કે તેજ બહાદુર ચૂંટણી પહેલા જેજેપીમાં સામેલ થયા હતા અને કરનાલ બેઠક પર મુખ્યમંત્રી ખટ્ટર સામે ચૂંટણી લડ્યા હતા.

તેમણે વધુમાં કહ્યું કે દુષ્યંતે એ સાબિત કરી દીધું છે કે જજપા, ભાજપની બી ટીમ છે. તે હવે પ્રેદશની ખાપ પંચાયતો સાથે મળીને દુષ્યંત વિરુદ્ધ મોટું આંદોલન છેડશે.

ઉલ્લેખનીય છે કે હરિયાણામાં ભાજપ-જેજેપી વચ્ચે સરકાર બનાવવાની ફોર્મુલા શુક્રવારે રાતે નક્કી થઈ હતી. જેની જાહેરાત કેંદ્રીય ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે કરી હતી. હરિયાણામાં 90 બેઠકોમાંથી 40 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. જ્યારે દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપીના 10 ધારાસભ્યો છે.