ભારતીય સેનાની ચીનને ચેતવણી, પૂર્વ સૈન્ય કમાન્ડરે કહ્યું- અમે 1962ની સેના નથી
abpasmita.in | 27 Aug 2019 11:06 PM (IST)
લેફ્ટિનેન્ટ જનરલ એમએમ નરવાનેએ કહ્યું કે તે 1962માં થયેલા યુદ્ધને સેના પર એક કાળા નિશાન તરીકે નથી જોતા. તમામ સૈન્યએ આક્રમક લડાઈ લડી હતી અને નિર્ધારિત કામો પુરા કર્યા હતા.
નવી દિલ્હી: ભારતીય સેનાએ ચીનને આકરી ચેતવણી આપી છે. પૂર્વ સૈન્ય કમાન્ડર લેફ્ટનેન્ટ જનરલ એમએમ નરવાનેએ મંગળવારે કહ્યું કે અમે 1962ની સેના નથી જો ચીન ઇતિહાસ યાદ કરવા કહે છે તો અમે પણ તેમને આ રીતે જવાબ આપીશું. તેઓએ કહ્યું કે ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) પર વિવાદિત વિસ્તારમાં 100 વખત અતિક્રમણ કર્યું છે ત્યારે ભારતીય સેનાને તેમને આકરો જવાબ આપ્યો છે. લેફ્ટિનેન્ટ જનરલ એમએમ નરવાનેએ કહ્યું કે તે 1962માં થયેલા યુદ્ધને સેના પર એક કાળા નિશાન તરીકે નથી જોતા. તમામ સૈન્યએ આક્રમક લડાઈ લડી હતી અને નિર્ધારિત કામો પુરા કર્યા હતા. તેઓએ વધુમાં કહ્યું કે તે ચીન જ હતું જે ડોકલામ વિવાદનો હિસ્સો બન્યું હતું, પરંતુ ભારતે તેને શાનદાર રીતે જવાબ આપ્યો હતો. જે દર્શાવે છે કે અમે કોઈ પણ ખતરા સામે લડવા સક્ષમ છે. ઉલ્લેખનીય છે કે ડૉકલામને લઈને ભારત અને ચીન વચ્ચે બે મહિનાથી પણ વધુ તણાવ ચાલ્યો હતો. ડોકલામ સિક્કિમ નજીક ભારત-ચીન-ભૂટાન ટ્રાઇજંક્શન પર સ્થિત છે. આ વિસ્તાર ભૂતાનની સરહદમાં આવે છે. પરંતુ ચીન તેને ડોંગલોંગ પ્રાંત ગણાવી પોતાનું હોવાનો દાવો કરે છે.