નવી દિલ્હીઃ કોરોના વારસને લઈને એક મોટી જાણકારી સામે આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, જે દર્દીમાં કોરોનાના સામાન્ય લક્ષણ છે અથવા જેમને તાવ નથી, તે ચેપ નથી ફેલાવી શકતા. એવા દર્દીને જો સતત ત્રણ દિવસ સુધી તાવ ન આવે તો લક્ષણ શરૂ થયાના 10 દિવસ બાદ ડિસ્ચાર્જ કરી શકાય છે. તેમને ડિસ્ચાર્જ કર્યા પહેલા ટેસ્ટ કરવાની પણ જરૂરત નથી. પરંતુ એવા લોકોને ડિસ્ચાર્જ કર્યાના સાત દિવસ સુધી ઘરમાં આઈસોલેટ રહેવાનું રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક આંકડા અનુસાર ભારતમાં 69% કોરોના દર્દીને કોઈ લક્ષણ જ નથી.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 3400ને પાર કરી ગઈ છે, જ્યારે સંક્રમિતોની સંખ્યા 1,12,300ને વટાવી ગઈ છે.  છેલ્લા 24 કલાકમાં 5609 નવા કેસ નોંધાયા છે અને 132 લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,12,359 પર પહોંચી છે. 3435 લોકોના મોત થયા છે અને 45,299 લોકો સાજા થઈ ગયા છે. હાલ 63,624 એક્ટિવ કેસ છે.

 કયા રાજ્યમાં કેટલા મોત

મહારાષ્ટ્રમાં 1390, ગુજરાતમાં 749, મધ્યપ્રદેશમાં 267, દિલ્હીમાં 176, આંધ્રપ્રદેશમાં 53, આસામમાં 4, બિહારમાં 10, ચંદીગઢમાં 3, હરિયાણામાં 14, હિમાચલ પ્રદેશમાં 3, જમ્મુ-કાશ્મીરમાં 18, ઝારખંડમાં 3, કર્ણાટકમાં 41, કેરળમાં 4, મેઘાલયમાં 1, ઓડિશામાં 6, પુડ્ડુચેરીમાં 1, પંજાબમાં 38, રાજસ્થાનમાં 147, તમિલનાડુમાં 87, તેલંગાણામાં 40, ઉત્તરાખંડમાં 1, ઉત્તરપ્રદેશમાં 127 અને પશ્ચિમ બંગાળમાં 253 લોકોના મોત થયા છે.

કોરોનાનો પોઝિટિવિટી રેટ 4.4 ટકા

ભારત માટે એક રાહતના સમાચાર એ છે કે કોરોનાનો સતત ત્રણ મહિના સુધી સામનો કર્યા બાદ પણ પોઝિટિવિટી રેટ 4.4 ટકા જ છે. એટલે કે ટેસ્ટની સંખ્યા 1 લાખ પ્રતિદિવસ પહોંચ્યા બાદ પણ 4.4 ટકા જ લોકો પોઝિટિવ મળી રહ્યા છે. જોકે 13.6 દિવસમાં કેસ ડબલ થવાનું હજું પણ ચિંતાજનક છે.