મુંબઈ: મહારાષ્ટ્રમાં મુંબઈ અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે તંત્રની તૈયારીઓને લઈને સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓને સતર્ક રહેવા અને તેમને સુનિશ્ચિત કરવા કહ્યું છે કે, તે દરમિયાન લોકોને મુશ્કેલની સામનો ન કરવો પડે.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે, મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓ અને ભારત હવામાન વિજ્ઞાન વિભાગ(આઈએમડી)ના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી . નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ગુરુવારે સવારે 8 વાગીને 30 મિનિટ સુધી મુંબઈમાં 331.08 મિમી વરસાદ વરસ્યો, જ્યારે ઉપનગરોમાં બુધવારે 162.3 મિમી વરસાદ નોંધાયો છે.

મુખ્યમંત્રીએ એનડીઆરએફ અને રેલવે પોલીસની ટીમ દ્વારા દક્ષિણ મુંબઈના મસ્જિદ બંદર સ્ટેશન નજીક પાટા પર પાણી ભરાવાથી બે લોકલ ટ્રેનોમાં ફસાયેલા 290 યાત્રીઓને સુરક્ષિત રેસ્ક્યૂ કરવાની કામગીરીની પ્રશંસા કરી હતી.

કોલ્હાપુર, રાયગઢ અને રત્નાગિરીમાં ભારે વરસાદ બાદ નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. એનડીઆરએફની 16 ટીમો રાજ્યના વરસાદ પ્રભાવિત વિસ્તારમાં તૈનાત છે, જેમાંથી 4 કોલ્હાપૂર મોકલવામાં આવી છે.