નવી દિલ્હી: સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ અંતે CBIને સોંપવામાં આવી છે. આ કેસમાં CBIની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)નું નેતૃત્વ ગુજરાત કેડરના અધિકારી મનોજ શશીધર કરશે. આ ઉપરાંત ગુજરાત કેડરના અન્ય એક અધિકારી ગગનદિપ ગંભીર પણ આ ટીમના સભ્ય છે.


અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મોતનું રહસ્ય વધુ ઘેરું બનતું જાય છે. બિહાર પોલીસની ટીમ દ્વારા મુંબઈમાં આ મામલે તપાસ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ પણ આ મામલે પગેરું મેળવવા પ્રયાસ કરી રહી છે. આ મામલો સત્તાવાર રીતે CBIને તપાસ માટે સોપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે મનોજ શશીધર CBIના જોઈન્ટ ડાયરેક્ટરના પદ પર છે. આ ઉપરાંત  ગગનદિપ ગંભીર CBIમાં DIGના પદે ફરજ બજાવે છે.

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસના વિવાદે હવે રાજકારણનું સ્વરૂપ પણ ધારણ કર્યુ છે. આ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર શંકાની સોય છે ત્યારે હાલમાં રિયા ચક્રવર્તી પોલીસની પકડથી દૂર છે. આ ઉપરાંત સુશાંતની મોતની તપાસને લઈને બિહાર પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ વચ્ચે પણ ઘર્ષણ હાલ દેશમાં ચર્ચાનું કેંદ્ર બન્યું છે.